અમદાવાદમાં એક સપ્તાહમાં ફટાકડાથી ૧૧૫ સહિત આગના ૧૭૭ બનાવ નોંધાવા પામ્યાં

પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ આગ લાગવાની ઘટના બની

અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ફાયર વિભાગના ૧૦૦થી વધુ વાહનો સતત દોડતા રહ્યાં

Updated: Nov 10th, 2021


Google NewsGoogle News
અમદાવાદમાં એક સપ્તાહમાં ફટાકડાથી ૧૧૫ સહિત આગના ૧૭૭ બનાવ નોંધાવા પામ્યાં 1 - image


અમદાવાદ,મંગળવાર,9 નવેમ્બર,2021

અમદાવાદ શહેરમાં દિવાળીના પર્વ દરમ્યાન એક સપ્તાહમાં ફટાકડાથી આગ લાગવાની ૧૧૫ઘટના સહિત આગના ૧૭૭ બનાવ નોંધાવા પામ્યા છે.પશ્ચિમ ઝોનમાં આવેલા વિસ્તારોમાં સૌથી વધુ આગ લાગવાની ૬૫ ઘટના બનવા પામી હતી.સાત દિવસ દરમ્યાન અમદાવાદ પૂર્વ અને પશ્ચિમના વિસ્તારોમાં ફાયર વિભાગના ૧૦૦થી વધુ વાહનો આગની ઘટનાઓને પગલે સતત દોડતા રાખવામાં આવ્યા હતા.જો કે સદનસીબે આગને લઈને એક પણ ઈજા કે જાનહાની ફાયર વિભાગના ચોપડા ઉપર નોંધાવા પામી નથી.

દિવાળીના તહેવાર સમયે લાગેલી આગની ઘટનાઓ અંગે ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,શહેરના શાહપુર ઉપરાંત કાલુપુર, બહેરામપુરા, રખિયાલ,ગોમતીપુર જેવા વિસ્તારોમાં આગ લાગવાની ઘટના બની હતી.ખોખરા,નારોલ તેમજ અસલાલી તથા વટવામાં પણ આગની ઘટના બનવા પામી હતી.પશ્ચિમમાં સોલા,નારણપુરા,નવરંગપુરા, શીલજ,બોપલ તથા અમરાઈવાડી,ઘીકાંટા અને દાણીલીમડા વિસ્તારોમાં આગના બનાવ નોંધાયા હતા.

ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટની મળેલી પ્રતિક્રીયા મુજબ, ૩૦થી વધુ અધિકારીઓ, ૩૫૦ થી વધુ ફાયર કર્મચારીઓને ૧૦૦થી વધુ ફાયરના વાહન સાથે સતત દોડતા રાખવામાં આવતા રીચીંગ ટાઈમ ઘટતા ઈજા કે જાનહાની થવા પામી નહોતી.પશ્ચિમ ઝોનમાં ૬૫ ઘટના, પૂર્વ ઝોનમાં ૧૯ બનાવ જયારે મધ્ય ઝોનમાં ૧૬ ઘટના આગની બનવા પામી હતી. ઉત્તર ઝોનમાં આઠ અને દક્ષિણ ઝોનમાં સાત બનાવ બનવા પામ્યા હતા.

ફટાકડાના કારણે શહેરના ૨૪ મકાનમાં આગ લાગી હતી.૧૨ ફેકટરી પણ આગમાં લપેટાઈ હતી.ફટાકડાથી કચરામાં આગ લાગી હોય એવા ૫૮ કોલ,વાહનમાં આગ લાગી હોય એવા  પાંચ અને દુકાનમાં આગ લાગી હોય એવા આઠ કોલ ઉપરાંત રેલ્વે ઓફિસમાં ફટાકડાથી આગ લાગવાનો એક બનાવ બનવા પામ્યો હતો.ફટાકડાથી છ વૃક્ષોમાં અને ફટાકડાની એક લારીમાં પણ આગ લાગી હતી.આગને કારણે ફર્નિચર ઉપરાંત ઘરવખરી,લાકડુ, મશીનરી અને ઈલેકટ્રીક વાયરીંગ બળીને ખાખ થઈ ગયુ હતું.

ફટાકડા સિવાય લાગેલી આગના બનાવ

અમદાવાદમાં એક સપ્તાહમાં ફટાકડા સિવાય પણ આગ લાગવાની ઘટના બનવા પામી હતી.જેમાં શોટ સર્કીટના કારણે આગ લાગવાના ૨૦ બનાવ નોંધાયા હતા.વાહન અને ગોડાઉનમાં આગ લાગવાના ત્રણ-ત્રણ બનાવ બનવા પામ્યા હતા.દિવાના કારણે પાંચ સ્થળોએ આગ લાગી હતી.મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદખેડા ખાતે આવેલા એસ્ટેટના ગોડાઉનમાં પણ આગ લાગી હોવાનું ફાયર સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.


Google NewsGoogle News