બિપરજોય વાવાઝોડના રક્ષણ સામે દ્વારકાધીશ મંદિરે વિષ્ણુ યજ્ઞ શરુ, આફત ટાળવા વિશેષ પૂજા પણ કરાઈ
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે
વાવાઝોડું આજે રાત્રે 9 વાગ્યાની આસપાસ ત્રાટકી શકે
અરબી સમુદ્રમાં સર્જાયેલું વાવાઝોડું બિપરજોય ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે અને હવે વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે તેમ તેમ તેની અસર અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગુજરાતના જખૌના દરિયાકાંઠે સંભવિત આજે રાત્રે ત્રાટકશે. હાલ વાવાઝોડું દર કલાકે પ્રતિ 7 કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. બિપરજોય વાવાઝોડાના રક્ષણ સામે તેમજ ચક્રવાત વધુ તારાજી ન સર્જે તે માટે દ્વારકાધીશ મંદિરમાં વિષ્ણુ યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે.
દ્વારકાધીશ સમક્ષ વિષ્ણુ યજ્ઞ કરવામાં આવ્યો
ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર પર બિપરજોય વાવાઝોડાનો ખતરો મંડરાય રહ્યો છે અને દ્વારકામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે ત્યારે હવે ભગવાન દ્વારકાધીશની ખાસ પૂજા કરીને મંદિરમાં વિષ્ણુ યજ્ઞ શરુ કરવામાં આવ્યો છે. ગુજરાતના દરિયાકાંઠે સકંટ સમાન આ આફત કોઈપણ જાતના વિનાશ વગર શાંતિથી જ ટળી જાય અને લોકોનું રક્ષણ થાય તે માટે દ્વારકાધીશના પૂજારી દ્વારા ભગવાન દ્વારકાધીશ સમક્ષ વિષ્ણુ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. આ વિનાશકારી ચક્રવાત ગુજરાતમાં વિનાશ ન સર્જે તે માટે વિષ્ણુ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે અને વિશેષ પૂજા કરવામાં આવી રહી છે.
વાવાઝોડું આજે રાત્રે જખૌના દરિયાકાંઠે ત્રાટકી શકે
બિપરજોય વાવાઝોડાએ ગઈકાલે દિશા બદલતા તે ગુજરાતના કચ્છના જખૌના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે અને હવામાન વિભાગના જણાવ્યા મુજબ બિપરજોય વાવાઝોડું આજે રાત્રે 9 વાગ્યાની આસપાસ ત્રાટકી શકે છે. આ સાથે જ હાલ દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે અને દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. બિપરજોય વાવાઝોડાની અસર અમદાવાદમાં પણ શરુ થઈ ગઈ છે અને હાલ શહેરના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં ફેરફાર થતા વરસાદ વરસ્યો છે.