અમુક વસ્તુઓ કુદરતના હાથમાં છે, નથી મારા કે નથી સરકારના હાથમાંઃકૃષિ મંત્રી રાઘવજી પટેલ
રાઘવજીએ કહ્યું, કોઈપણ પાકના પોષણક્ષમ ભાવ નીચે જાય ત્યારે સરકાર ટેકાના ભાવ નક્કી કરે છે
અમદાવાદઃ (Gujarat)ગુજરાતના અનેક વિસ્તારોમાં ઓછો વરસાદ થયો હોવાથી ખેડૂતોના પાકને નુકસાન થયું હોવાની અનેક રજૂઆતો વિપક્ષ દ્વારા સરકારને કરાઈ હતી અને ખેડૂતોને પાક સહાય આપવા માટે માંગ કરી હતી. (agriculture minister)ત્યારે પાછોતરા વરસાદમાં ખેડૂતોના કપાસના પાકને થયેલા નુકસાનને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, ઓછા વરસાદથી કપાસના પાકને નુકસાન થયું હોવાનો હું સ્વીકાર કરૂ છું. અમુક વસ્તુઓ તો કુદરતના હાથમાં છે, નથી મારા હાથમાં કે નથી સરકારના. તેમણે ઉમેર્યું હતું કે, આ મુદ્દે મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ પણ કરવામાં આવી છે.
પાછોતરા વરસાદથી કપાસ સહિતનો પાક નુકસાન પામ્યો
કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ખેડૂતોના હિતમાં સરકાર કપાસ સહિતના પાકની નુકસાની અંગેનો વિચાર કરશે. તેમણે કપાસના નીચા ભાવ અંગે પણ નિવેદન આપતાં કહ્યું હતું કે, માંગ અને પુરવઠાને આધારે ભાવમાં વધ ઘટ થતી હોય છે. વૈશ્વિક બજાર પર કપાસના ભાવ વધ-ઘટ થતા હોય છે. પાકના પોષણક્ષમ ભાવ નીચે જાય ત્યારે સરકાર ટેકાના ભાવ નક્કી કરે છે. રાજ્યમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોનો કપાસ સહિતનો પાક નુકસાન પામ્યો છે જેને લઈને મુખ્યમંત્રી સાથે ચર્ચાઓ કરી છે આ મુદ્દે હજી વધુ વિચારણા હાથ ધરાય તેવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી હતી.