BZ કૌભાંડ કેસ: CID ક્રાઇમે 7 આરોપી સામે 22,000 પાનાની ચાર્જશીટ કોર્ટમાં કરી ફાઈલ
BZ Scam Case : ગુજરાતની ચકચારી પોન્ઝી સ્કીમ BZ કૌભાંડમાં CID ક્રાઇમે અમદાવાદ ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સાત આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. સાત આરોપીઓની 22 હજાર પેજની ચાર્જશીટ કોર્ટ સમક્ષ મુકવામાં આવી. BZ કૌભાંડના આરોપી વિશાલસિંહ ઝાલા, દિલીપ સિંહ સોલંકી, આશિક ભરથરી , સંજય સિંહ પરમાર , રાહુલ રાઠોડ, રણવીર સિંહ ચૌહાણ અને મયુર દરજી વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરાય. ધરપકડ કરાયેલા ભુપેન્દ્રસિંહ ઝાલા સહિત છ આરોપીઓ વિરૂદ્ધ ચાર્જશીટ હજુ બાકી છે. જેમાં ભુપેન્દ્રસિંહ ઝાલા, કિરણ ચૌહાણ, નરેશ પ્રજાપતિ, વિનોદ પટેલ, ગુણવંતસિંહ રાઠોડ અને કમલેશ ચૌહાણ વિરૂદ્ધ ચાર્જશીટ બાકી છે. આ સમગ્ર કેસમાં હજુ 15 જેટલા આરોપીની ધરપકડ કરવાની પણ બાકી છે.
422.96 કરોડનું કૌભાંડ
CID ક્રાઇમ દ્વારા 655 સાક્ષીઓના નિવેદન કોર્ટમાં રજૂ કર્યા હતા. CID ક્રાઇમે ચાર્જશીટમાં 11183 રોકાણકારોના 422.96 કરોડનું કૌભાંડ થયું હોવાનું ઉલ્લેખ કર્યો છે. હાલ કુલ 6866 રોકાણકારોને 172 કરોડ રૂપિયા ચુકવવાના બાકી હોવાનું સામે આવ્યું છે. તમામ આરોપીઓ પૈકી કુલ 10 આરોપી BZ ફાઇનાન્સ સર્વિસની દિવ્ય દ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્ર્સ્ટી પણ જોવા મળ્યા છે. તેઓ રોકાણકારો સાથે અવાર નવાર બેઠકો કરતા હતા. BZ ફાઇનાન્સની અલગ અલગ જિલ્લામાં આશરે 14 જેટલી ઓફિસો હોવાનું સામે આવ્યું છે.
સાત આરોપી વિરૂદ્ધ 22 હજાર પેજની ચાર્જશીટ દાખલ
સમગ્ર કૌભાંડમાં વિશાલસિંહ ઝાલા નામના આરોપીએ 117 રોકાણકારો પાસેથી 5.50 કરોડનું રોકાણ કરાવ્યું હતું. BZ ફાઇનાન્સ સર્વિસના નામે 100થી 300 રૂપિયાના સ્ટેમ્પ કો.ઓપરેટિવ બેંકમાંથી કુલ 12518 સ્ટેમ્પ પેપરની ખરીદી કરવામાં આવી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાના બેંક ખાતામાંથી વિશાલસિંહ ઝાલાના બેંક ખાતામાં કુલ 19.7 લાખ રૂપિયા જમા થયા હતા. જ્યારે આરોપી દિલીપસિંહ સોલંકીએ કુલ 5 આઈડી દ્વારા 33 રોકાણકારો પાસે 47.5 લાખનું રોકાણ કરાવ્યું હતું. આરોપીએ કુલ 1.20 કરોડ જેટલી રકમ ઉઘરાવી હોવાના પુરાવા મળી આવ્યા છે. અન્ય આરોપીમાં આશિક ભરથરીએ કુલ 10 રોકાણકારો પાસેથી રોકાણ કરાવી 1,80,000 જેમાં કમિશન મેળવ્યું. આરોપીએ 44 લાખ રૂપિયાની લેવડદેવડ કરી હતી.
જ્યારે સંજય સિંહ પરમાર નામના આરોપીએ કુલ 14 રોકાણકારોને 1.71 કરોડનું રોકાણ કરાવ્યું અને 1.56 કરોડ જેટલી રોકડ ઉઘરાવી હતી. રાહુલ રાઠોડે 47 રોકાણકારોને લઈને 40.75 લાખનું રોકાણ કરાવ્યું. જેમાં 17.40 લાખના રોકડ વ્યવહાર કર્યા હતા. આરોપી રણવીરસિંહ ચૌહાણે કુલ 302 રોકાણકારોનું 5.98 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. અન્ય આરોપીમાં મયુર દરજીએ 325 રોકાણકારોનું 8.72 કરોડ જેટલું રોકાણ કરાવ્યું, જેમાં રોકાણકારો પાસેથી આશરે ચાર કરોડ જેટલી રકમ રોકડ ઉઘરાવી હતી.