10 વર્ષ પહેલાં બનેલા EWSના 1664 આવાસ તોડાયા છતાં શાસકોનો સાવ અજાણ હોવાનો ડોળ

Updated: Sep 21st, 2024


Google NewsGoogle News
10 વર્ષ પહેલાં બનેલા EWSના 1664 આવાસ તોડાયા છતાં શાસકોનો સાવ અજાણ હોવાનો ડોળ 1 - image


Housing Demolition in Ahmedabad: અમદાવાદના વટવામાં 10 વર્ષ પહેલાં 2014માં બનાવવામાં આવેલા 1664 જેટલા આવાસ 14 મહિનાના સમયમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. આટલી મોટી સંખ્યામાં આવાસ તોડવાની કામગીરી લાંબા સમયથી ચાલતી હોવા છતાં શહેરના પ્રથમ નાગરિક એવા મેયર કહે છે કે, 'અમને તો ખબર જ નથી.'

15મી જુલાઈ-2023થી વટવાના આવાસો પૈકી નહીં ફાળવવામાં આવેલા આવાસો તોડી પાડવાની કામગીરી શરુ કરાઈ હતી. 14 મહિનાથી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા નહીં ફાળવવામાં આવેલા આવાસો વહીવટી તંત્ર દ્વારા તોડવામાં આવી રહ્યા છે. મેયર સહિતના પદાધિકારીઓને તંત્ર જાણ ના કરે એ બાબત ગળે ઉતરે એવી જ નથી. કેગ દ્વારા વર્ષ-2017માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટ પછી પણ મ્યુનિ. તંત્રે વટવા ખાતે નહીં ફાળવવામાં આવેલા આવાસોની ફાળવણી ક્યા કારણથી ના કરી એનો પણ કોઈ પાસે જવાબ નથી.

એક હજાર આવાસ તોડી પડાયા

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા વટવા ખાતે બનાવવામાં આવેલા આર્થિક નબળા વર્ગના આવાસ તોડી પાડવાના મુદ્દે સર્જાયેલા વિવાદમાં વિપક્ષ દ્વારા શુક્રવારે મ્યુનિસિપલ કૉર્પોરેશનની મુખ્ય ઑફિસ ખાતે તંત્ર અને સત્તાધીશો સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવાની સાથે મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં વટવા ખાતે 2200 પૈકી એક હજાર આવાસ તોડી પડાયા, આ આવાસ કયા કારણથી ગરીબ વર્ગના લાભાર્થીઓને ફાળવવામાં ના આવ્યા સહિતના મુદ્દા જવાબદારો સામે નિષ્પક્ષ અને ઝડપથી કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.

ભાજપના પદાધિકારીઓ વહીવટી તંત્ર સામે આક્રમક મૂડમાં

વટવા આવાસ તોડી પાડવાના મુદ્દે પહેલી વખત ભાજપના પદાધિકારીઓ વહીવટી તંત્ર સામે આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. મેયર પ્રતિભા જૈને મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, તમે કાર્યવાહી કરી છે તો તમે જ જવાબ આપજો મીડિયાને.

આવાસ તોડવા મુદ્દે તંત્ર પાસે આ મુદ્દાઓનો જવાબ નથી

1. 10 વર્ષ પહેલાં આર. સી. સી. સ્ટ્રકચરથી બનાવવામાં આવેલા આવાસો પૈકી અંદાજે બે હજાર આવાસ એકાએક જર્જરિત કેવી રીતે થઈ ગયા?

2.આર્થિક રીતે નબળા વર્ગના લાભાર્થીઓ માટે આવાસો બનાવાયા હતા. કેગના અહેવાલ પછી પણ સાત વર્ષ સુધી મ્યુનિસિપલ વહીવટી તંત્રે ફાળવણી નહીં કરાયેલા આવાસોનો ડ્રો કરી લાભાર્થીઓને આવાસોની ફાળવણી કેમ ના કરી?

3. 10 વર્ષ પહેલા બનાવવામાં આવેલા ગરીબ વર્ગના લોકો માટેના આવાસો ફાળવણી કર્યા પહેલા મ્યુનિ. તંત્ર આવાસો તોડવા અંગેના નિર્ણય જેવી બાબત ભાજપના પદાધિકારીઓને ના કરાઈ હોય એ બાબત શકય જ નથી.

મ્યુનિ.તંત્ર પાસે સ્ટ્રકચરલ એન્જિનિયર જ નથી

વર્ષે બાર હજાર કરોડનું અંદાજપત્ર ધરાવતાં અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પ્રધાનમંત્રી આવાસ, મુખ્યમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી મળતી કરોડો રુપિયાની ગ્રાન્ટમાંથી EWS, LIG, MIG જેવી આવાસ યોજના હેઠળ દર વર્ષે મોટી સંખ્યામાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવાસો તૈયાર કરાવવામાં આવે છે. આમ છતાં મ્યુનિસિપલ કૉર્પોરેશનના વહીવટી તંત્ર પાસે સ્ટ્રકચરલ સ્ટેબીલિટી રિપોર્ટ તૈયાર કરીને આપે એવા સ્ટ્રકચરલ એન્જિનિયર નહીં હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

બુલેટટ્રેન પ્રોજેકટને લઈ આવાસો તોડાયાની ચર્ચાએ જોર પકડ્યું


અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેકટની કામગીરી ખૂબ ઝડપથી ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં વટવા ખાતે બનાવવામાં આવેલા આર્થિક નબળા વર્ગના લોકો માટેના નહીં ફાળવવામાં આવેલા આવાસો જમીનદોસ્ત કરી એ જમીનને મોખરાની બનાવવાના કારસા રુપે કોઈના રાજકીય દબાણ હેઠળ આ આવાસો તોડી પડાયાની ચર્ચાએ સ્થાનિકોમાં જોર પકડ્યું છે.

આવાસોમાં સળિયા દેખાતા સ્ટ્રકચરલ સ્ટેબિલિટી રિપોર્ટ કરાવાયો : ડેપ્યુટી મ્યુનિ.કમિશ્નર

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશ્નર રિદ્ધેશ રાવલે કહ્યું, વટવા ખાતે બનાવવામાં આવેલા આવાસો પૈકી અમુક આવાસમાં છતના સળિયા બહાર નીકળી ગયા હતા. અમુકમાં દીવાલમાં ગાબડા પડ્યા હતા. જ્યારે એક મકાન નમી ગયું હતું. આ પ્રકારના વિવિધ કારણોને લઈ માર્ચ-2023માં સ્ટ્રકચરલ સ્ટેબીલિટીનો રિપોર્ટ મેળવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા પછી 15 જુલાઈ-2023ના રોજ જર્જરિત થયેલા આવાસો તોડવા અંગે તંત્ર તરફથી નિર્ણય કરવામાં આવ્યો હતો.

વર્ષ-2014માં કુલ છ ફેઝમાં 8960 આવાસ બનાવવામાં આવ્યા હતા. આ આવાસ બનાવવાનો કોન્ટ્રાકટ એમ. વી. ઓમનીને આપવામાં આવ્યો હતો. ડિફેક્ટ લાયાબીલિટી પિરીયડ વર્ષ-2017માં પૂરો થયો હતો. કુલ રુપિયા 55.20 કરોડના આ પ્રોજેકટના પાંચમા ફેઝમાં બનાવવામાં આવેલા આવાસો પૈકી સ્ટ્રકચરલ સ્ટેબીલિટીના રિપોર્ટ બાદ અત્યાર સુધીમાં કુલ 1664 આવાસ તોડી પડાયા છે. જ્યારે 224 આવાસમાં લોકો વસવાટ કરી રહ્યા છે. આ આવાસ તોડી પાડવાનો ઓર્ડર 15મી જુલાઈ-2023ના રોજ આપવામાં આવ્યો હતો. 59 પૈકી 52 બ્લોક તોડી પડાયા છે. કોન્ટ્રાકટર એલ. જે. પુરાણીને આવાસ તોડાયા બાદ નીકળતાં કાટમાળ ઉપાડવાની કામગીરી આપવામાં આવી છે.


Google NewsGoogle News