અમદાવાદમાં ભગવાન જગન્નાથની વાજતે-ગાજતે નીકળી ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
146 Jalyatra of Lord Jagannathji in Ahmedad - file pic


Jalyatra of Lord Jagannathji in Ahmedabad: ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાને લઈને અમદાવાદમાં પુરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આજે જેઠ સુદ પૂનમના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલા  જળયાત્રા યોજાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભગવાન જગન્નાથની રથયાત્રા સાતમી જૂલાઈએ  નીકળશે. 

 બેન્ડ બાજા સાથે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની ઢોલ-નગારા, ધજા પતાકા, બળદગાડા, બેન્ડ બાજા સાથે ભવ્ય જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જળયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. દર વર્ષે જેઠ સુદ પૂનમના દિવસે પરંપરાગત જળયાત્રા નીકળે છે. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ સાબરમતી નદીમાંથી 108 કળશમાં જળ ભર્યા બાદ જળ ભરેલા કળશ સાથે ભગવાન જગન્નાથની જળયાત્રા મંદિરે પરત પહોંચી હતી. 

ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો

જગન્નાથજીની ષોડસોપચારની પૂજા-વિધિ પૂર્ણ થયા બાદ ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમજ પ.પૂ. અવિચલદેવાચાર્યજી મહારાજ જળયાત્રાની પૂજાવિધિમાં જોડાયા હતા. જળયાત્રા બાદ ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે સાંજે સરસપુર મોસાળમાં જશે. જ્યાં  મોટી સંખ્યામાં સરસપુરવાસીઓ જોડાશે. આ શોભાયાત્રા મોડી સાંજે રણછોડરાય મંદિરમાં પહોંચશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની વાજતે-ગાજતે નીકળી ભવ્ય જળયાત્રા, મોટી સંખ્યામાં ભક્તો જોડાયા 2 - image


Google NewsGoogle News