વરસાદી પાણી,ઉભરાતી ગટરો મામલે AMC એડીશનલ એન્જિનિયરનો પાણી સમિતિએ ખુલાસો માંગ્યો
ગુજરાત હાઈકોર્ટે ટીકા કરતા મ્યુનિ.ની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યુ હોવાની દરખાસ્ત પસાર
અમદાવાદ,સોમવાર,9 સપ્ટેમ્બર,2024
સાબરમતી નદીના પ્રદૂષણને લઈ ગુજરાત હાઈકોર્ટ દ્વારા મ્યુનિયતંત્રની
આકરા શબ્દોમાં ઝાટકણી કાઢવામાં આવી છે.આઠ મહિનાથી શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલા
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનો કોન્ટ્રાકટ પુરો થઈ ગયો હોવાછતાં ટેન્ડર કરાયા નથી. આ કારણથી
શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સાથે ગટરો ઉભરાઈ રહી છે.પાણી સમિતિની
બેઠકમાં મ્યુનિ.ના એસ.ટી.પી.ના એડીશનલ ચીફ એન્જિનિયર મહેન્દ્ર નિનામાનો ખુલાસો માંગવામાં
આવ્યો છે.કમિટીએ પસાર કરેલી દરખાસ્તમાં ગુજરાત હાઈકોર્ટે ટીકા કરતા મ્યુનિ.ની પ્રતિષ્ઠાને
નુકસાન પહોંચ્યુ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મ્યુનિ.ની પાણી સમિતિની બેઠકમાં કમિટીના સભ્યો દ્વારા
શહેરના જુદા જુદા વિસ્તારોમાં ડ્રેનેજ ઉભરાવાની સમસ્યાને લગતી રજૂઆત કરવામાં આવતી
હોય છે.એસ.ટી.પી.ખાતા દ્વારા શહેરના તમામ ઝોનમાં સુપર સકર મશીનથી ડ્રેનેજ લાઈનની
સફાઈ થાય અને ડ્રેનેજલાઈન ચોકઅપ થવાના પ્રશ્ન નહીવત બને એ માટે ડ્રેનેજલાઈનોની
સુપર સકર મશીનથી સફાઈ કરવાનો કોન્ટ્રાકટ અલગ અલગ એજન્સીઓને આપવામા આવે છે.આ
કોન્ટ્રાકટની સમયમર્યાદા પુરી થવા છતાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં લઈ સમયસર ટેન્ડર
પ્રક્રીયા કરવાના બદલે ટેન્ડરની મુદત લંબાવવાની ફરજ પડી છે.જુદા જુદા પમ્પિંગ
સ્ટેશનની મુલાકાત લઈ જે તે પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા વધારવા કાર્યવાહી થવી જોઈતી
હતી.તે પણ મ્યુનિ.ના એડીશનલ ચીફ એન્જિનિયર દ્વારા કરવામાં આવી નથી અને તેઓ ફરજ
બજાવવામા ઉણા ઉતર્યા હોવાનું પ્રતિપાદીત થાય છે.આ પ્રકારની દરખાસ્ત ભાજપના શંકર
ચૌધરીએ દિપક પંચાલના ટેકા સાથે મુકી હતી.જે કમિટી દ્વારા મંજૂર કરવામા આવી હોવાનું
કમિટી ચેરમેન દિલીપ બગરીયાએ કહયુ હતુ.