Get The App

ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં ગેરરીતિ રોકવા AIની મદદ લેવાશે, ખોટા ડૉક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં  ગેરરીતિ રોકવા AIની  મદદ લેવાશે, ખોટા ડૉક્યુમેન્ટ હશે તો પકડાઈ જશે 1 - image


Artificial Intelligence : ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગની ઘણી બદનામી થઈ છે. આ કારણોસર હવે PMJAY યોજના અંતર્ગત ગેરરીતિ રોકવા આરોગ્ય વિભાગ સક્રિય થયું છે. હવે PMJAY યોજનામાં ગેરરીતિ અટકાવવા માટે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવામાં આવશે. દર્દીની  સારવાર સમયે ખોટા દસ્તાવેજ હશે તો ઘડીભરમાં જ પકડાઈ જશે. 

સ્ટેટ હેલ્થ એજન્સીની મેન્યુઅલ કામગીરીને નવો ઓપ અપાશે 

PMJAY યોજના ખાનગી હૉસ્પિટલ માટે કમાણીનું સાધન બની રહી છે કેમ કે, ગરીબ દર્દીઓની સારવારના નામે ખોટા દસ્તાવેજો રજૂ કરીને સરકાર પાસેથી નાણાં ખંખેરવામાં આવી રહ્યા છે. ખ્યાતિકાંડ બાદ આ બધી ય વાત બહાર આવી છે. દર્દીઓને જરૂર ન હોય છતાંય બારોબાર હૃદયમાં સ્ટેન્ટ નાંખીને ખ્યાતિ હૉસ્પિટલના ડૉક્ટરો ધૂમ કમાણી કરી રહ્યા હતા. 4 હજારથી વધુ ઑપરેશન કરીને લાખો કરોડો રૂપિયા મેળવ્યા હતાં. 

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં હાલ રૂ. 62 કરોડથી વધુ આયુષ્યમાન કાર્ડ ધારકો છે જે PMJAY યોજના અંતર્ગત હૃદયરોગ, કેન્સર સહિત વિવિધ બીમારીઓમાં રૂ.10 લાખ સુધી મફત સારવાર મેળવી શકે છે. 

સૂત્રોના મતે, હાલ ગુજરાતમાં PMJAY યોજનાની કામગીરી મેન્યુઅલી થઈ રહી છે જેના કારણે ગેરરીતિ થવાનો અવકાશ છે. સાથે સાથે ભ્રષ્ટ અધિકારીઓ અને ડૉક્ટરો, હૉસ્પિટલ સંચાલકોની મિલીભગતથી આખુંય કૌભાંડ થયું છે ત્યારે હવે રાજ્ય આરોગ્ય વિભાગે નેશનલ હેલ્થ એજન્સી જેવું જ પોર્ટલ બનાવવા તૈયારી કરી છે. 

હવે આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સની મદદ લેવાનું નક્કી કરાયું છે જેથી ખોટા ડૉક્યુમેન્ટ હશે, અધૂરા ડૉક્યુમેન્ટ હશે અથવા અન્ય કોઈ પણ અનિમિયતતા જણાશે તો ઘડીભરમાં પકડાઈ જશે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં નેશનલ હેલ્થ એજન્સીની બધીય કામગીરી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત છે. 

અત્યારે ગુજરાતમાં દર્દીની સારવારને લઈને કોઈ ફરિયાદ આધારે તપાસ કરાય છે. આ ઉપરાંત 104 હેલ્પલાઇન પર ફરિયાદ આવે તો પણ તપાસ કરવામાં આવે છે. લોકસભામાં આ મુદ્દો ઉઠ્યો ત્યારે કેન્દ્રીય આરોગ્ય વિભાગનું કહેવું છેકે, દર્દીની સારવારનો ઇન્કાર કરાયો હોય, હૉસ્પિટલમાં દવા ઉપલબ્ધ ન હોય, દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોય છતાં પૈસા લેવાયા હોય. આ ઉપરાંત અન્ય મુદ્દે દેશભરમાંથી કુલ મળીને 18,184 ફરિયાદો મળી છે. આમ, ખ્યાતિકાંડ બાદ રાજ્ય આરોગ્ય વિભાગ PMJAY યોજના અંતર્ગત વિવિધ રોગની સારવારની અલાયદી માર્ગદર્શિકા પણ ઘડવા જઈ રહ્યું છે. 



Google NewsGoogle News