ગુજરાતમાં મેઘમહેરના સારા પરિણામ, 8થી વધુ ડેમ છલકાયા, જાણો નર્મદા ડેમની કેવી છે સ્થિતિ?

Updated: Jul 19th, 2024


Google NewsGoogle News
Sardar Sarovar


Dams On High Alert In Gujarat: રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ 54 ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં 1,81,229 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 54.25 ટકા જેટલો જળસંગ્રહ થયો છે.

સૌરાષ્ટ્રમાં ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા

જળસંપત્તિ વિભાગના અહેવાલ અનુસાર, રાજ્યના કુલ 206 જળાશયોમાં 1,98,227 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 35.38 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં ત્રણ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. આ ઉપરાંત રાજ્યના આઠ ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડિયા અને સસોઈ-2 ડેમ તથા સુરેન્દ્રનગર જિલ્લાનો વાંસલ ડેમ 100 ટકા ભરાઇ જતાં હાઈ એલર્ટ અપાયું છે. આ ઉપરાંત જૂનાગઢના ઓઝત-2 અને બાંટવા-ખારો ડેમ, મોરબીના ગોડાધ્રોઈ, રાજકોટના ભાદર-2 તથા ભરૂચના ધોલી અને બલદેવા, જામનગરના ફુલઝર-1 તથા પોરબંદરના સારણ ડેમને એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન, સૂત્રાપાડા-વંથલીમાં જળબંબાકાર, આજે પણ ભારે વરસાદની આગાહી


રાજ્યના કુલ 7 જળાશયો 70 ટકાથી 80 ટકા વચ્ચે ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જેમાં જામનગર જિલ્લાના ફુલઝર(કે.બી.), ઉંડ-3 અને રૂપારેલ, રાજકોટના આજી-2 અને ન્યારી-2 તથા સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 38.57 ટકા, મધ્ય ગુજરાતના 17માં 37.23 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 31.54 ટકા, ઉત્તર ગુજરાતના 15માં 26.33 ટકા, કચ્છના 20માં 22.92 ટકા પાણીનો સંગ્રહ નોંધાયો છે.

ગુજરાતમાં મેઘમહેરના સારા પરિણામ, 8થી વધુ ડેમ છલકાયા, જાણો નર્મદા ડેમની કેવી છે સ્થિતિ? 2 - image


Google NewsGoogle News