અમદાવાદમાં હવાનું પ્રદૂષણ ઘટાડવા હવેથી ૧૦૦મીટર સુધી ઉંચાઈની સાઈટમાં એર કવોલીટી સેન્સર ,ડીસ્પલે લગાવવા ફરજિયાત
એરકવોલીટી સેન્સરની કનેકિટીવીટી કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે અપાશે
અમદાવાદ,ગુરુવાર,24 ઓકટોબર,2024
નેશનલ કલીન એર પ્રોગ્રામ અંતર્ગત અમદાવાદમાં ૪૫થી ૭૦ તથા
૧૦૦ મીટર સુધીની ઉંચાઈની બાંધકામ સાઈટ ઉપર એર કવોલીટી સેન્સર લગાવવા ફરજિયાત
બનાવવામા આવ્યા છે. નવી બનતી બાંધકામ સાઈટ
ઉપર એર કવોલીટી સેન્સર નહીં લગાવનારા ડેવલપરને મ્યુનિ.ના એસ્ટેટ વિભાગ તરફથી નોટિસ
આપવાથી લઈ રજા ચિઠ્ઠી રદ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.સાઈટ ઉપર લગાવવામાં
અવેલા સેન્સરને કમાન્ડ કંટ્રોલ સેન્ટર સાથે કનેકટિવીટી અપાશે.
શહેરમાં હવાનુ પ્રદૂષણ વધવાની સાથે પી.એમ.૧૦ તથા
પી.એમ.-૨.૫ની માત્રા પણ વધતી હોય છે.આ માત્રામાં ઘટાડો કરવા એર કવોલીટી મેનેજમેન્ટ
સેલ તથા આઈ.સી.એલ.ઈ.એલ. સાઉથ એશિયા દ્વારા પોલીસી ફોર ગુડ કન્સ્ટ્રકશન ઈન અમદાવાદ
સિટી તૈયાર કરવામાં આવી છે. આ પોલીસીના અમલના ભાગ રુપે પાઈલોટ પ્રોજેકટ તરીકે
અમદાવાદ શહેરમાં ૨૦ હજાર સ્કેવર ચોરસ મીટરથી વધારે બિલ્ટઅપ એરીયા ધરાવતી વીસ જેટલી
બાંધકામ સાઈટ ઉપર એર કવોલીટી મોનિટરીંગ સ્ટેશનનુ ઈન્સ્ટોલેશન કરવામાં આવ્યુ
છે.હવાની ગુણવત્તા માપવા માટે લગાવવામા આવેલા સેન્સરનુ મોનિટરીંગ એર કવોલીટી
મેનેજમેન્ટ સેલ દ્વારા સમયાંતરે કરવામા આવે છે.જેનો સંપૂર્ણ ખર્ચ બિલ્ડર-ડેવલપર
દ્વારા કરવામાં આવે છે.જે બાંધકામ સાઈટનો બિલ્ટઅપ એરીયા ૨૦ હજાર ચોરસમીટરથી વધુ
હોય અથવા ઈમારતની ઉંચાઈ ૪૫ મીટરથી ૭૦ મીટર અને ૧૦૦ મીટર સુધીની તેવી સાઈટ ઉપર એર
કવોલીટી સેન્સર, એર
કવોલીટી ડિસ્પ્લે તથા સર્વેલન્સની બિલ્ડરે ફરજિયાત વ્યવસ્થા કરવી પડશે.