આયોજકોનું ટેન્શન વધ્યું, ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં

Updated: Sep 27th, 2024


Google NewsGoogle News
આયોજકોનું ટેન્શન વધ્યું, ગરબા ગ્રાઉન્ડ પાણીમાં ગરકાવ, વરસાદની આગાહીથી ખેલૈયાઓ ચિંતામાં 1 - image


Garba Organisors in trouble due to rain : નવલી નવરાત્રિના આડે હવે એક અઠવાડિયા કરતાં પણ ઓછો સમય બાકી રહ્યો છે. નવરાત્રિના પહેલાં ત્રણ નોરતામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેલૈયાઓ અને આયોજકોના રંગમાં ભંગ પડે તેવી શક્યતા છે. વરસાદના કારણે ગરબા આયોજકોને ભારે નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે.

નવરાત્રિની મજા બગાડશે વરસાદ? 

સામાન્ય રીતે ભાદરવા સાથે જ ચોમાસું વિદાય લઈ લેતું હોય છે. પરંતુ આ વખતે 5 ઑક્ટોબર બાદ નૈૠત્યનું ચોમાસું વિદાય લેશે. વિદાય પહેલાં પણ મેઘરાજા હજુ એક વાર ધમાકેદાર બેટિંગ કરે તેવી સંભાવના છે. હવામાન નિષ્ણાતોના મતે આગામી 3થી 5 ઑક્ટોબર દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મધ્યથી ભારે વરસાદ પડવાની શક્યતા છે. બુધવારથી જ રાજ્યમાં ચોમાસાનો છેલ્લો રાઉન્ડ શરુ થઈ ગયો છે. જેના કારણે ગરબાના મેદાનો પાણીથી ભરાઈ ગયા છે. 

આ પણ વાંચોઃ અંધારપટ વચ્ચે અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, જાણો કયા વિસ્તારમાં કેટલો ખાબક્યો વરસાદ

ગરબાના મેદાન પાણીમાં ગરકાવ

ગરબાના મેદાનો પાણીમાં ગરકાવ થવાથી આયોજકોએ ઇમરજન્સી બેઠક બોલાવી હતી અને જો નવરાત્રિમાં વરસાદ પડે તો શું કરવું તેની વિચારણા કરી હતી. અનેક આયોજકો અત્યારથી જ નવરાત્રિમાં વરસાદ પડે તો મેદાન ઢાંકવા માટેની વ્યવસ્થા ઉપરાંત ભરાયેલા પાણી કાઢવા સ્પંજ અને પંપની વ્યવસ્થા કરી રહ્યા છે. વરસાદના લીધે આયોજકોએ હજુ સુધી ડેકોરેશનની કામગીરી પણ શરુ નથી કરી. આયોજકો ઓછા સમયમાં તૈયારીઓ કેવી રીતે પૂરી કરવી તે દિશામાં આગળ વધી રહ્યા છે. મોટાભાગના આયોજકોનું માનવું છે કે, નવરાત્રિ દરમિયાન વરસાદ વિલન ન બને તો જ ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમી શકશે.


Google NewsGoogle News