'દિવાળી દરમિયાન વાદળછાયું વાતાવરણ અને કમોસમી વરસાદ પડશે', અંબાલાલની લેટેસ્ટ આગાહી
Rain Prediction On Diwali : રાજ્યમાં ચોમાસાની સિઝન પૂર્ણ થતાં અમદાવાદ સહિતના જિલ્લામાં ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી થોડા દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહેશે તેવું જણાવ્યું છે. બીજી તરફ, અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમી અને ઠંડીને લઈને આગાહી કરી છે.
દિવાળીમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા!
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની અસર હોવાથી રાજ્યમાં દિવાળી દરમિયાન વાદળછાયું વાતારણ અને કમોસમી વરસાદ પડવાની શક્યતા છે. જો કે, દિવાળી સુધી ગરમી યથાવત્ જોવા મળે તેવી શક્યતા છે. હાલ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવાય છે, ત્યારે આગામી 1થી 7 નવેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે.
આ પણ વાંચો : અમદાવાદમાં ગાંધી આશ્રમ રોડ આ તારીખથી કાયમી બંધ થશે, અવરજવર માટે નવો રૂટ શરૂ કર્યો
જ્યારે આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં ચક્રવાત થવાની શક્યતાને લઈને 7-14 નવેમ્બર દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદ પડી શકે છે. માર્ચ મહિના સુધી માવઠાં થવાની શક્યતા છે. બીજી તરફ, નવેમ્બર મહિનાના અંતથી ઠંડીનું જોર વધતું જોવા મળશે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાદળછાયું વાતાવરણ
પરેશ ગોસ્વામીનું માનવું છે કે, વાતાવરણમાં પલટો આવવાની શક્યતાને ધ્યાને લઈને દિવાળી દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે, પરંતુ કેટલાક અંશે વરસાદ ન પણ થાય તેવી શક્યતા છે. ઑક્ટોબરના અંત સુધીમાં ક્યાંક વરસાદી માહોલ જોવા મળી શકે છે. જો કે, નવેમ્બરના પહેલા અઠવાડિયાથી શિયાળાની શરુઆત થશે.