ચોમાસમાં બ્રેકડાઉનને નિવારવા ઔડા દ્વારા નંખાયેલી ડ્રેનેજ લાઈન રીહેબ કરવા ૩૨ કરોડનો ખર્ચ કરાશે
રાણીપ વોર્ડમાં ડ્રેનેજ લાઈન રીહેબ કરવા રુપિયા ૧૬ કરોડની રકમ ખર્ચાશે
અમદાવાદ,સોમવાર,10 ફેબ્રુ,2025
અમદાવાદના વિવિધ વિસ્તારમાં ચોમાસા દરમિયાન બ્રેકડાઉન થવાની
ઘટના બને છે. આ બાબતને ધ્યાનમાં લઈને ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૩૨ ફૂટ રીંગ રોડ ઉપર
આવેલી ડ્રેનેજ લાઈન રીહેબ કરવા ૩૨.૨૩ કરોડનો ખર્ચ કરાશે.રાણીપ વોર્ડમાં આવેલી
ડ્રેનેજ લાઈન રીહેબ કરવા રુપિયા ૧૬.૬૦ કરોડની રકમ ખર્ચાશે.
૧૩૨ ફૂટ રીંગ રોડ ઉપર ઔડા દ્વારા જે તે સમયે નાંખવામા આવેલી
ડ્રેનેજ લાઈન ઉપર ચોમાસા દરમિયાન અવારનવાર બ્રેકડાઉન થવાની ઘટના બને છે.આ પ્રકારની
ઘટના બનતી અટકાવવા સૈનિક પેટ્રોલપંપથી શિવરંજની ચાર રસ્તા થી અંધજન મંડળ ચાર રસ્તા
સુધીની ડ્રેનેજ પાઈપલાઈન રીહેબ કરાશે.આ કામ માટે કોન્ટ્રાકટર કેપીટલ એન્જિનીયરીંગ
કોર્પોરેશનના ટેન્ડરને મંજૂરી આપવા આજે મળનારી પાણી સમિતિની બેઠકમાં દરખાસ્ત
મંજૂરી માટે મુકવામાં આવી છે.રાણીપ વોર્ડમા મગનપુરા સર્કલથી રાધાસ્વામી રોડ ઉપરની
ડ્રેનેજ લાઈન રીહેબ કરવા કોન્ટ્રાકટર ઓનસાઈટ ઈન્ડિયા પ્રા.લિ.ના ટેન્ડરને મંજૂરી
આપવા પાણી સમિતિ સમક્ષ દરખાસ્ત મુકવામાં આવી છે.અસારવા વોર્ડમાં આવેલી જુની
ડ્રેનેજ લાઈન રીહેબ કરવા રુપિયા ૧૭.૮૮ કરોડના ખર્ચથી કોન્ટ્રાકટર ઈનસીટુ પાઈપ લાઈન
રીહેબીલીટેશન પ્રા.લી.ના ટેન્ડરને મંજૂરી આપવા દરખાસ્ત કમિટી સમક્ષ મુકવામાં આવી
છે.