અમદાવાદના જાણીતા પાનકોર નાકાના વેરહાઉસમાં મોડી રાતે ભીષણ આગ, ભારે જહેમત બાદ કાબૂમાં લેવાઈ
Ahmedabad Fire Accident : અમદાવાદના ખાડિયાના પાનકોરનાકા વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં બુધવારે (25 સપ્ટેમ્બર) મોડી રાત્રે ભીષણ આગ ફાટી નીકળી હતી. કોમર્શિયલ કૉમ્પ્લેક્સના ભોંયરામાં આવેલું વેરહાઉસ એકાએક આગની લપેટમાં આવી ગયું હતું. સમગ્ર ઘટનાની જાણ થતાં અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. નોંધનીય છે કે, આખી ઘટના દરમિયાન કોઈ જાનહાની સર્જાઈ નથી.
ભોંયરામાં લાગી હતી આગ
ફાયર અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'મોડી રાત્રે ફોન આવ્યો હતો કે, ખાડિયના પાનકોર નાકાના કૉમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગી છે. ફોન આવતાંની સાથે જ આગને કાબૂમાં લેવા માટે લગભગ 20 ફાયર વાહનોને ઘટના સ્થળે રવાના કરાયા હતા. ફાયર વિભાગની ટીમો એ આખી રાત જહેમત ઉઠાવી વહેલી સવાર સુધીમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ ભોંયરામાં લાગી હોવાના કારણે તેને કાબૂમાં લેવા માટે ફાયરની ટીમને આખી રાત લાગી હતી. જો કે, સમગ્ર ઘટના દરમિયાન હાલ સુધી કોઈને ઈજા થઈ હોય તેવું સામે આવ્યું નથીદ.'
આ પણ વાંચોઃ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ, 24 કલાકમાં 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ 6 ઈંચ ઉમરપાડામાં
આગ લાગવાનું કારણ હજુ અકબંધ
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, આગ ઓલવ્યા બાદ બાકી રહેલા હૉટ સ્પોટને સંપૂર્ણપણે ઓલવવા અને ફરી આગ પકડે તેવી સંભવિત જગ્યાઓએ કૂલિંગની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જો કે, આવડી મોટી આગ કેમ લાગી તેનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કૂલિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આગ લાગવાના કારણ વિશે તપાસ કરવામાં આવશે.