મહિલા ડૉક્ટરની આત્મહત્યા બાદ PI ખાચર ભૂગર્ભમાં ઉતરી ગયા, સુસાઈડ નોટમાં અનેક ખુલાસા થયા

પોલીસ અધિકારીએ જણાવ્યું કે ફરિયાદ નોંધાયા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે

Updated: Mar 8th, 2024


Google NewsGoogle News
મહિલા ડૉક્ટરની આત્મહત્યા બાદ PI ખાચર ભૂગર્ભમાં ઉતરી ગયા, સુસાઈડ નોટમાં અનેક ખુલાસા થયા 1 - image


Crime News : અમદાવાદ ક્રાઈમબ્રાંચ પરિસરમાં બુધવારે ડૉ. વૈશાલી જોષીની આત્મહત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં મૃતક પાસેથી પોલીસને ડાયરી અને સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં મૃતકે તેના પીઆઈ બી કે ખાચર સાથે છેલ્લાં પાંચ વર્ષથી પ્રેમસંબંધ હોવાની વાતનો સ્વીકાર કરવાની સાથે પીઆઈ ખાચર જ પોતાના મોત માટે જવાબદાર છે. તે વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પેનલ પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવ્યો હતો. બીજી તરફ આ ઘટના બાદ બાદ બુધવારે સાંજથી પીઆઈ ખાચર ભૂગર્ભમાં ઉતરી ગયા છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકના પરિવારજનો દ્વારા ફરિયાદ નોંધાયા બાદ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

યુવતીએ પગમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી

જમાલપુર ગાયકવાડ હવેલીમાં આવેલા ક્રાઈમબ્રાંચના પરિસરમાં બુધવારે સાંજના સમયે ડૉ. વૈશાલી જોષી નામની યુવતીએ પગમાં ઈન્જેક્શન મારીને આત્મહત્યા કરી લીધી હતી. વૈશાલી છેલ્લાં પાંચ દિવસથી ક્રાઈમબ્રાંચના તાબામાં આવેલા ઈકોનોમીક ઓફેન્સ વીંગના પીઆઇ બી કે ખાચરને મળવા માટે આવતી હતી. જો કે પીઆઈ બી કે ખાચર તેને મળતા નહોતા અને બુધવારે પણ મળવાનો ઈન્કાર કર્યો હતો. વૈશાલીએ અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે તપાસ કરતા ગાયકવાડ હવેલી પોલીસને એક સુસાઈડ નોટ અને ડાયરી મળી આવી હતી.

વૈશાલી જોષી વીરપુર પાસે આવેલા ડેભારી ગામના વતની હતી

આ બાબતે વધુ તપાસ કરતા વૈશાલી જોષી મહિસાગર જિલ્લાના વીરપુર પાસે આવેલા ડેભારી ગામના વતની હતી અને અમદાવાદમાં શીવરંજની પાસે આવેલા પીજીમાં રહીને ખાનગી હોસ્પિટલમાં નોકરી કરતા હતા. છેલ્લાં પાંચ વર્ષથી બંને વચ્ચે સંબંધ હતો. પરંતુ, કોઈ કારણસર બંને વચ્ચે વાંધો પડ્યો હતો. જેથી બી કે ખાચરે વૈશાલીનો સંપર્ક બંધ કરી દીધો હતો. તે છેલ્લાં પાંચ દિવસથી ક્રાઈમબ્રાંચમાં તે પીઆઈને મળવા માટે આવતી હતી. પણ ખાચરે મળવાનો ઇન્કાર કર્યો હતો. જેના કારણે હતાશામાં આવીને તેણે આંતિમ પુગલું ભર્યું હતું.

ડૉ. વૈશાલી જોષીનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો

એસીપી હિતેન્દ્ર ચૌધરીએ જણાવ્યું કે આ બનાવ બાદ પીઆઇ બી કે ખાચર ફરાર છે. ડૉ. વૈશાલી જોષીનો મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં તે ફરિયાદ નોંધાવે તેના આધારે પીઆઈ ખાચર સામે કાર્યવાહી થશે. જે કે પીઆઈ બીકે ખાચરની શોધખોળ હાલ ચાલું છે. વૈશાલીના પિતા વિનોદ જોષીનું વર્ષ 2021માં અવસાન થયું હતું. જ્યારે તેમની બહેનો પૈકી એક કેનેડા અને એક વડોદરા ખાતે રહે છે. જ્યારે તેની માતા લીલાબેન ડેભારી ખાતે રહે છે.


Google NewsGoogle News