એક વૃધ્ધાનું આકસ્મિક મોત, જુહાપુરાના મેટ્રો મેન્શન ફલેટના પાર્કિંગમાં આગ, ૨૧૦ લોકોનુ રેસ્કયુ

વહેલી સવારે પાર્કિંગમાં આગથી ૩૯ ટુ વ્હીલર, ૩ રીક્ષા બળીને ખાખ, આગ લાગવા પાછળનુ રહસ્ય અકબંધ

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
એક વૃધ્ધાનું આકસ્મિક મોત, જુહાપુરાના મેટ્રો મેન્શન ફલેટના પાર્કિંગમાં આગ, ૨૧૦ લોકોનુ રેસ્કયુ 1 - image


અમદાવાદ,શુક્રવાર,15 માર્ચ, 2024

જુહાપુરાના ફતેવાડી વિસ્તારમાં શુક્રવારે વહેલી સવારે ત્રણના સુમારે પાર્કિંગમાં આગ લાગતા આ બનાવના પગલે ભારે અફરાતફરી સર્જાઈ હતી.ફલેટના પાર્કિંગમાં લાગેલી આગના પગલે પોતાના ફલેટમાં સુઈ રહેલા રહીશો જીવ બચાવવા ઉપરના ભાગમાં ચાલ્યા ગયા હતા.દરમિયાન ફાયર વિભાગની ટીમે ૨૧૦ લોકોનુ રેસ્કયૂ કર્યુ હતુ.આગના પગલે એક વૃધ્ધાનુ આક્સ્મિક મોત થયુ હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.પાર્કિંગમાં રાખવામા આવેલા ૩૯ ટુ વ્હીલર તથા ૩ રીક્ષા આગમા બળીને ખાખ થઈ ગયા હતા.આગ લાગવા પાછળનુ રહસ્ય અકબંધ છે.ઘટના સ્થળે ફાયર વિભાગ ઉપરાંત પોલીસે પહોંચી બનાવ અંગે તપાસ શરુ કરી હતી.

જુહાપુરા ખાતે આવેલા મેટ્રો મેન્શન ફલેટના પાર્કિંગમાં આગ લાગતા રહીશોએ વહેલી સવારે ત્રણ કલાકના સુમારે ફાયર કંટ્રોલને જાણ કરતા પ્રહલાદનગર ફાયર સ્ટેશન અને અન્ય ફાયર સ્ટેશનના વોટર ટેન્કર,મીની ફાયર ફાઈટર ,ગજરાજ સહિત નવ જેટલા ફાયરના વાહન સાથે ડિવિઝનલ ફાયર ઓફિસર ઉપરાંત સ્ટેશન ઓફિસરની સાથે ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર તથા ઈન્ચાર્જ એડીશનલ ચીફ ફાયર ઓફિસર સહિતના ફાયરજવાનોએ ઘટના સ્થળે પહોંચી જઈ પાર્કિંગમાં લાગેલી આગને બુઝાવવાની સાથે ઉપરના ફલોર ઉપર દોડી ગયેલા રહીશોને સલામત નીચે ઉતારવાની કામગીરી શરુ કરવામાં આવી હતી.ફાયર વિભાગના સ્ટાફ દ્વારા દસ લોકોને ફાયરની સીડી દ્વારા તેમજ ૨૦૦ લોકોને ફલેટની સીડીથી સલામત રીતે ઉતારવામા આવ્યા હતા.વહેલી સવારે પાર્કિંગમાં લાગેલી આગ કુદરતી કારણથી લાગી હતી કે કોઈના દ્વારા લગાવવામાં આવી હતી એ અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

દાતણ તોડવા ગયેલા બે લોકો ૬૫ ફૂટ ઉંડા કૂવામાં ગરકાવ થતા બચાવાયા

અમદાવાદ પૂર્વના રામોલ-હાથીજણ વોર્ડમાં હાથીજણ સર્કલથી લાલગેબી સર્કલ તરફ જતા જોગણી માતાના મંદિર પાસે સવારે ૬.૩૦ કલાકના સુમારે અશોકભાઈ  ઉંમર વર્ષ-૩૫ અને સુરેશભાઈ ઉંમરવર્ષ-૩૧ ૬૫ ફૂટ ઉંડા કૂવામાં ગરકાવ થતા અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ભારે જહેમત બાદ બંનેને બહાર કાઢી ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ મોકલી આપવામા આવ્યા હતા.સવારના સમયે આ બંને વ્યકિત દાતણ તોડવા નીકળ્યા હતા તે સમયે અંધારામાં કૂવામાં ગરકાવ થયા હોવાનુ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે.


Google NewsGoogle News