મુસાફરો ભરેલી બસમાં આગથી દોડધામ, અમદાવાદથી ધોળકા જતી ST બસમાં આગ,૯૫ મુસાફરોનો બચાવ

બસમાં લાગેલી આગને પગલે ડ્રાઈવરે તમામ પેસેન્જરોને નીચે ઉતારી દીધા

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News

     મુસાફરો ભરેલી બસમાં આગથી દોડધામ, અમદાવાદથી ધોળકા જતી ST બસમાં આગ,૯૫  મુસાફરોનો બચાવ 1 - image  

 અમદાવાદ,શનિવાર,23 માર્ચ,2024

અમદાવાદથી ધોળકા જઈ રહેલી એસ.ટી.બસ શનિવારે બપોરના સુમારે સરખેજ પોલીસ સ્ટેશન નજીક પહોંચી એ સમયે બસમાં એકાએક આગ લાગતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.આસપાસથી પસાર થતા વાહનચાલકોમાં પણ ભય જોવા મળ્યો હતો.બસમાં આગ લાગવાની સાથે જ ડ્રાઈવરે સમયસૂચકતા વાપરીને બસમાં મુસાફરી કરી રહેલા તમામ ૯૫ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દેતા મોટી દુર્ઘટના બનતા અટકી હતી.જોકે બસ આગને કારણે ગણતરીની મિનીટમાં બળીને ખાખ થઈ ગઈ હતી.

અમદાવાદથી ધોળકા જઈ રહેલી એસ.ટી.બસમાં આગ લાગતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી.ફાયર વિભાગ દ્વારા  બપોરે ૧.૩૦ કલાકના સુમારે પ્રહલાદનગર ફાયર સ્ટેશન ખાતેથી બે ફાયર ફાઈટીંગ વાહનો સાથે ફાયરવિભાગનો સ્ટાફ ઘટના સ્થળે બસમાં લાગેલી આગ બુઝાવવા દોડી ગયો હતો.બસમાં આગ લાગવા અંગે બસના ડ્રાઈવરે ફાયર વિભાગને આપેલી વિગત મુજબ, એસ.ટી.ની ડીઝલ બસ અમદાવાદથી ધોળકા તરફ લઈ જઈ રહયા હતા એ સમયે બસના એન્જિનની ઓઈલ પાઈપ લીક થતા બસમાં આગ લાગી હતી.જો કે ડ્રાઈવરે વાપરેલી સમયસૂચકતાના કારણે ૯૫ પેસેન્જરોને હેમખેમ નીચે ઉતારી લેવામાં આવતા મોટી દુર્ઘટના બનતી ટળી ગઈ હતી.


Google NewsGoogle News