2 વર્ષમાં ગૌચરની 18 લાખ ચો.મી. જમીન ઉદ્યોગોને ફાળવી દેવાઈ, 2800 ગામ ગૌચર વિહોણાં થયા

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
Representative image Of Land
Image : Pixabay

Gauchar land allotted to industries In Gujarat : ગુજરાત સરકાર ઔદ્યોગિક વિકાસના અજવાળાં પાથરી દેવાયા હોવાના દાવા કરે છે પરંતુ નક્કર હકીકત એવી છે કે આ અજવાળાં હેઠળ સરકારી પડતર, ખરાબા અને ગૌચરની જમીનો ઉદ્યોગજૂથોને પધરાવી દીધી હોવાનો અંધકાર છે. વિકાસના નામે પશુધનને ચરવાની જગ્યાનો ભોગ લેવાયો છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 103.80 કરોડ ચોરસમીટર જમીન ઉદ્યોગોને ભાડે આપી છે અથવા તો વેચાણથી સોદા કર્યા છે.

ગૌચરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી

સરકારના મહેસૂલ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં બે વર્ષમાં 18 લાખ ચોરસમીટર ગૌચરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી છે. જો ગૌચર, ખરાબા અને સરકારી પડતર જમીનો સરવાળો કરવામાં આવે તો આ જમીનનું કદ એટલું મોટું થાય છે કે જેમાં બે અમદાવાદ સમાઈ શકે છે. બે વર્ષમાં સરકારે 103,80,73,183 ચોરસમીટર સરકારી પડતર, ખરાબા અને ગૌચરની જમીન ઉદ્યોગોને પધરાવી દેવામાં આવી છે. રાજ્યમાં 28 વર્ષ પહેલાં 700 ગામડાં એવાં હતા કે જ્યાં ગૌચર જમીન ગાયબ હતી, જ્યારે હાલની સ્થિતિએ ગૌચર વિહોણાં ગામડાઓની સંખ્યા 2800 થવા જાય છે. નિયમ છે કે 100 ગાયો વચ્ચે 40 એકર ગૌચર હોવું જોઈએ પરંતુ 9029 ગામો એવાં છે કે જ્યાં નિયમ કરતાં ઓછું ગૌચર છે. 

દર વર્ષે 50 ગામોનું ગૌચર સરકાર ખાઈ જાય છે

આ જમીનો પર માફિયાઓને કબજો ગામ ખાલી થવાનું મુખ્ય કારણ છે. આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે દર વર્ષે 50 ગામોનું ગૌચર સરકાર ખાઈ જાય છે. બીજી તરફ ગૌચરની જમીનમાં દબાણો મુખ્ય સમસ્યા ઉદ્દભવી છે. રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં જે જમીન ભાડે અથવા વેચાણ આપી છે તેમાં એકમાત્ર કચ્છ જિલ્લામાં 95,65,31,216 ચોરસમીટર જમીન થવા જાય છે. રાજ્યમાં ગરીબોને આપવાના 50થી 100 મીટરના પ્લોટ નથી અને ઉદ્યોગોને દૈનિક 14.22 લાખ ચોરસમીટર જમીનની લહાણી કરવામાં આવે છે.

2 વર્ષમાં ગૌચરની 18 લાખ ચો.મી. જમીન ઉદ્યોગોને ફાળવી દેવાઈ, 2800 ગામ ગૌચર વિહોણાં થયા 2 - image


Google NewsGoogle News