રાજકોટના વેપારીનું અપહરણ કરીને ૧૦ કરોડની ખંડણી માંગવામાં આવી
શીલજ એસપી રીંગ રોડ નજીકના કોમ્પ્લેક્ષ પાસેથીની ઘટના
ધંધાર્થી રાજકોટથી બોપલ સ્નાયુઓની સારવાર માટે આવ્યો હતોઃ દુબઇથી મોનીલ નાકરાણીએ કોલ કરીને ખંડણીના નાણાં માંગ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ
અમદાવાદ,શુક્રવાર
રાજકોટના કુવાડવા રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાં રહેતો ધંધાર્થી થોડા દિવસ પહેલા સ્નાયુના દુખાવાની સારવાર માટે બોપલની એક હોસ્પિટલ ખાતે આવ્યો હતો. તે સમયે રાજકોટના જ કેટલાંક લોકોએ તેનું અપહરણ કરીને માર મારીને રૂપિયા ૧૦ કરોડની ખંડણી માંગી હતી. અપહરણકર્તાઓએ તેને દુબઇમાં રહેતા મોનીલ નાકરાણી સાથે વાત કરાવતા તેણે ૧૦ કરોડ આપવા જ પડશે. તેમ કહીને ધમકી આપી હતી. જો કે તાત્કાલિક ૧૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા ન થઇ શકે તેમ હોવાથી તેના મિત્રને ગેંરટર રાખીને ધધાર્થી યુવકને છોડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના અંગે બોપલ પોલીસે અપહરણ અને ખંડણી માંગવાનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. રાજકોટ ગ્રીનલેન્ડ ચાર રસ્તા પાસે આવેલી મણીનગર સોસાયટીમાં રહેતા પ્રદીપ ડાવેરા રાજકોટમાં લારીઓ ભાડે આપવાનો વ્યવસાય કરે છે. ગત ૧૯મી ઓક્ટોબરના રોજ તે તેના પગના સ્નાયુઓની સારવાર માટે બોપલમાં આવેલી ઓર્થોકેર હોસ્પિટલમાં સારવાર માટે આવ્યો હતો. જે દરમિયાન તે તેના મિત્રની શીલજ સર્કલ પાસે આવેલા સ્વાતી ક્લોવર બિલ્ડીંગ ખાતે આવ્યો હતો. જે પછી બેઝમેન્ટમાં કારથી કાર લઇને પરત જતો હતો તે સમયે એક કાર તેની પાસે આવી હતી. જેમાંથી સુરેશ જોગવા (રહે. રાજકોટ) અને પ્રકાશ નામના વ્યક્તિ બહાર આવ્યો હતો અને તેમણે પ્રદીપને છરી બતાવીને કારમાં અપહરણ કરીને એક ફાર્મ હાઉસમાં લઇ જઇને ખાટલા સાથે બાંધીને માર મારીને દુબઇ કોલ લગાવીને મોનીલ નાકરાણી નામના વ્યક્તિ સાથે વાત કરી હતી. મોનીલ નાકરાણીએ ધમકી આપી હતી કે તું બહુ રૂપિયા કમાયો છે એટલે ૧૦ કરોડ તો આપવા જ પડશે. તારી પાસે અડધો કલાકનો સમય છે. એટલુ જ પ્રદીપના ગળા પર છરી મુકીને તાત્કાલિક નાણાં ંંમાંગતા પ્રદીપે તેના મિત્ર સાગર કુગસીયાને ફોન કર્યો હતો. તાત્કાલિક ૧૦ કરોડની વ્યવસ્થા થઇ ન શકે તેમ ન હોવાથી સાગર કુગસીયાએ બાદમાં નાણાં આપવાની ખાતરી આપતા અપહરણકારોેએ તેને છોડી મુક્યો હતો. આ અંગે બોપલ પોલીસે સુરેશ જોગવા , પ્રકાશ, સલ્લુ ભરવાડ, કાંતીલાલ ભેસદલરિયા, ભુપત ભરવાડ અને મોનીલ નાકરાણી વિરૂદ્વ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.