દેશમાં કોરોનાના વધુ 756 કેસ, પાંચ મોત, JN.1 વેરિયન્ટના કેસ 600ને પાર

JN.1ના સૌથી વધુ કેસો ધરાવતા 5 રાજ્યોમાં કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ગોવા

Updated: Jan 7th, 2024


Google NewsGoogle News
દેશમાં કોરોનાના વધુ 756 કેસ, પાંચ મોત, JN.1 વેરિયન્ટના કેસ 600ને પાર 1 - image

Covid 19 And Sub Variant JN.1 Case in India : દેશમાં કોવિડ-19 કેસો વધવાની સાથે તેના સબ વેરિયન્ટ JN.1ના કેસો પણ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રવિવારે કહ્યું કે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 756 નવા કોરોના કેસ નોંધાયા છે અને 5 દર્દીના મોત થયા છે. મહારાષ્ટ્ર, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં સંક્રમિત દર્દીના મોત થયા છે.

કોરોના કેસમાં આંશિક ઘટાડો

શનિવારે તમિલનાડુ અને ગુજરાતમાં 2-2ના મોત થયા હતા, જ્યારે શુક્રવારે કેરળમાં 5, કર્ણાટકમાં 4, મહારાષ્ટ્રમાં 2 અને ઉત્તરપ્રદેશમાં 1 વ્યક્તિ સહિત કુલ 12 દર્દીના મોત થયા હતા. સક્રિય કેસોની સંખ્યા શનિવારે 4187 હતી, જે ઘટીને 4049 પર પહોંચી ગઈ છે. દેશમાં જાન્યુઆરી-2020થી અત્યાર સુધીમાં કુલ કેસોની સંખ્યા 4,50,18,134 પર, જ્યારે મૃત્યુઆંક 5,33,392 પર પહોંચી ગયો છે, તો કુલ 4.4 કરોડ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. 

ઘણા રાજ્યોમાં JN.1 સબ વેરિયન્ટના કેસો નોંધાયા

કોવિડ-19નો સબ વેરિયન્ટ JN.1નો પ્રથમ કેસ 17 ડિસેમ્બરમાં કેરળમાં નોંધાયો હતો. અત્યાર સુધીમાં નવો વેરિયન્ટ કેરળ બાદ કર્ણાટક, દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, તેલંગણા, ઓડિશા અને હરિયાણામાં સામે આવ્યો છે.

દેશમાં JN.1ના કુલ 619 કેસ

દેશમાં અત્યાર સુધીમાં JN.1ના કુલ 619 કેસ સામે આવ્યા છે, જેમાં સૌથી વધુ કર્ણાટકમાં 199 અને કેરળમાં 148 નોંધાયા છે, ત્યારબાદ મુંબઈમાં કુલ 139 કેસ નોંધાયા છે. મુંબઈમાં શનિવારે નવા વેરિયન્ટના 29 કેસ સામે આવ્યા છે. જ્યારે ગુજરાતમાં 76, ગોવામાં 51, રાજસ્થાન અને તેલંગણામાં 32-32, આંધ્રપ્રદેશમાં 29, તમિલનાડુમાં 22, દિલ્હીમાં 8, કર્ણાટકમાં 8, ઓડિશામાં 3, પશ્ચિમ બંગાળમાં 2 કેસ સામે આવ્યા છે.

JN.1 સબ-વેરિયન્ટ શું છે ?

દેશમાં JN.1 સબ-વેરિયન્ટનો પ્રથમ કેસ ઓગસ્ટમાં સામે આવ્યો હતો. નવો વેરિયન્ટ ઓમિક્રોન (Omicron)નો સબ-વેરિયન્ટ BA.2.86માંથી ઉદભવ્યો છે. 2022ની શરૂઆતમાં કોરોના કેસોમાં વધારો થવાનું મુખ્યકારણ BA.2.86 જ હતો. BA.2.86 વધુ ફેલાયો ન હતો, પરંતુ તેને નિષ્ણાંતોની ચિંતા વધારી દીધી હતી, કારણ કે, BA.2.86માં સ્પાઈક પ્રોટીન પર વધારાના પરિવર્તનો થયા હતા અને તેની જેમ JN.1ના સ્પાઈક પ્રોટીનમાં પણ એક વધારાનું પરિવર્તન થયું છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, વિશ્વસ્તરે કેસોમાં વધારો થાય બાદ સામે આવ્યું છે કે, JN.1 ઓમિક્રોનું સબ-વેરિયન્ટ છે, જે મજબૂત ઈમ્યૂનિટી ધરાવતા લોકોને પણ સરળતાથી સંક્રમિત કરી શકે છે. યૂએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ (CDC)એ નવા વેરિયન્ટને ઝડપી ફેલાતો હોવાનો ખુલાસો કર્યો છે.

JN.1ના લક્ષણો ?

સીડીસીના જણાવ્યા મુજબ કોરોનાના નવા વેરિયન્ટ JN.1થી પીડિત દર્દીમાં તાવ, ઠંડી લાગવી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, થાક, માથું દુઃખવું, સ્નાયુમાં દુ:ખાવો, સ્વાદ અથવા ગંધ પારખવામાં સમસ્યા, ગળામાં ખરાશ, નાક વહેવું, ઉબકા, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. જોકે કેટલાક કેસોમાં લક્ષણો દર્દીની ઈમ્યૂનિટી પર નિર્ભર છે.

સ્વસ્થ થયા બાદ પણ લક્ષણો

નવા વેરિયન્ટમાં ચોંકાવનારી બાબત સામે આવી છે કે, સ્વસ્થ થવા છતાં દર્દીમાં લક્ષણો યથાવત્ રહે છે, જેમાં માથું દુઃખું, થાક લાગવો, શ્વાસની સમસ્યા સામેલ છે. ડૉક્ટરોનું કહેવું છે કે, ઓછામાં ઓછા 4થી 6 અઠવાડિયા બાદ દર્દી આ લક્ષણોમાંથી બહાર આવે છે.

નવા વેરિયન્ટથી બચવા માસ્ક પહેરવું જોઈએ?

અગાઉ પબ્લિક હેલ્થ ડાયરેક્ટરની સલાહે આપી હતી કે, લગ્ન પ્રસંગે, ટ્રેન કે બસ તેમન જે જગ્યાઓએ ખૂબ ભીડ હોય તેવી જગ્યાએ માસ્ક પહેરવું હિતાવહ છે. તે માત્ર  કોવિડ જ નહિ પરંતુ હવાથી ફેલાતી અન્ય બીમારીથી પણ તમારું રક્ષણ કરશે. પરંતુ હાલ માસ્કને ફરજીયાત કરવાની કોઈ જરૂરિયાત નથી. વડીલો, ગર્ભવતી મહિલાઓ અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. જો જવું જરૂરી હોય તો માસ્ક જરૂર પહેરવું જોઈએ. તેમજ જેમને શરદી, ઉધરસ કે શ્વાસની તકલીફ છે તેમણે પણ ભીડવાળી જગ્યાએ માસ્ક પહેરીને રાખવું જોઈએ. 

શું બુસ્ટર ડોઝ લેવો જરૂરી છે?

વેરિયન્ટની ગંભીર અસરને રોકવા માટે વેક્સીન અસરકારક કરી છે પરતું ઘણા લોકોની નબળી રોગપ્રતિકારક શક્તિ પણ જોવા મળી છે. કારણે કે જે લોકોએ વેક્સીનના બે ડોઝ લીધા છે તેઓ પણ સંક્રમિત થયા છે. JN.1 ને તેની ટ્રાન્સ-મિસિબિલિટીને કારણે WHO દ્વારા 'વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ' તરીકે ઓળખવામાં આવે છે. ભારત સહિત ઘણા દેશોમાં રસીના અપડેટેડ વર્ઝન પહેલેથી જ ઉપલબ્ધ છે, જેથી ગભરાવાની જરૂર નથી. બસ સાવધાની જરૂરી છે. 


Google NewsGoogle News