બાપુનગરમાં સાસરિયાએ ખોટી ફરિયાદ કરતા મહિલાનો દવા પી આપઘાતનો પ્રયાસ
ટીફીન સેવા કરીને પરિવારનું ગુજરાન કરતી મહિલાને માનસિક ત્રાસ આપતા હતા
ગંભીર હાલતમાં શારદાબહેન હોસ્પિટલમાં સારવાર હેઠળ
અમદાવાદ, સોમવાર
બાપુનગરમાં રહેતી મહિલાએ તેના સાસરિયાના ત્રાસથી કંટાળીને એલર્જીની દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં સાસરીયા દ્વારા મહિલા સામે ખોટી પોલીસ ફરિયાદો અને અરજી કરતા હતા તેમજ પતિને પણ ખોટી ચઢામણી કરીને ત્રાસ આપતા હતા. આ બનાવ અંગે બાપુનગર પોલીસે સાસરીના ચાર લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મહિલા ગંભીર હાલતમાં શારદાબહેન હોસ્પિટલમાં સારવાર હેઠળ ઃ બાપુનગર પોલીસે દિયર દેરાણી સહિત ચાર લોકો સામે ગુનો નોંધી તપાસ શરુ કરી
બાપુનગરમાં રહેતા અને ટીફીન બનાવવાનું કામ કરતી ૪૨ વર્ષની મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં દિયર અને દેરાણી તથા નણંદ સહિત ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે કે મહિલાના ઘરે ઉપરના માળે તેમના દિયર અને દેરાણી તથા નણંદ રહે છે. અને મહિલાની નણંદનો પુત્ર વટવા ખાતે રહે છે. પરિવારના તમામ લોકો ફરિયાદી મહિલા વિરુધ્ધ ખોટી ખોટી પોલીસ સ્ટેશનમાં અરજી અને ફરિયાદો કરતા રહેતા હતા જેથી તેમને મનમાં લાગી આવતા રવિવાર રાત્રે મહિલાએ એલર્જીની દવા વધુ પ્રમાણ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
દવા પીવાને લીધે મહિલાને છાતીમાં દુઃખાવો થવા લાગ્યો હતો. આ સમયે તેમની દિકરી આવી પહોંચતા માતાને તાત્કાલિક સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં લઈને જઇને દાખલ કર્યા હતા હાલમાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.