વેજલપુરમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને ગળાટુપો આપી મોતને ઘાટ ઉતાર્યો

પત્નીએ અજાણ્યા લોકો હુમલો કરવા આવ્યાનો સસરાને ફોન કર્યો

પ્રેમ સંબધમાં પતિ આડો આવતો હોવાથી પત્નીએ પ્રેમીને ઘરે બોલાવીને પતિનું કાસળ કાઢ્યું ઃ વેજલપુરની ન્યુ વ્રજ સોસાયટીની ઘટના

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
વેજલપુરમાં પ્રેમી સાથે મળીને પત્નીએ પતિને ગળાટુપો આપી મોતને ઘાટ ઉતાર્યો 1 - image

અમદાવાદ, સોમવાર

શહેરના વેજલપુરમાં આવેલી ન્યુ વ્રજ સોસાયટીમાં રહેતી મહિલાએ તેના પ્રેમી સાથે મળીને પતિને મોતને  ઘાટ ઉતાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પત્નીએ અજાણ્યા લોકોએ હુમલો કરીને  દુપટ્ટાથી ગળુ દબાવ્યું હોવાની પરિવારજનોને કરી હતી. પરંતુ, ગળા પર નિશાન દુપટ્ટાના નહી પણ દોરીના હોવાનું જણાઇ આવતા પોલીસે મહિલાની શંકાના આધારે પુછપરછ કરતા તેણે  જ પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યાનો ખુલાસો કર્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. છોટા ઉદેપુરમાં રહેતા પ્રેમાભાઇ રાઠવાનો પુત્ર  અનિલ રાઠવા આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની અમદાવાદ ઓફિસમા નોકરી કરતો હતો. ગત રાત્રે પ્રેમાભાઇને તેમની પુત્રવધુ નેહલના ફોન પરથી અનિલના પાડોશીનો ફોન આવ્યો હતો કે કોઇ અજાણ્યા લોકોએ ઘરના પાછળના દરવાજાથી અંદર ઘુસીને અનિલને માર મારીને દુપટ્ટાથી ગળુ દબાવ્યું હતું. જેમાં તેનું મરણ થયું છે. આ સમાચાર મળતા જ તે અદાવાદ દોડી આવ્યા હતા. બીજી તરફ વેજલપુર પોલીસેે તપાસ કરતા મૃતકના ગળા પરનું નિશાન દુપટ્ટાનું નહી પરંતુ, પાતળી દોરીનું નિશાન જોવા મળ્યું હતું. જેથી શંકાને આધારે પોલીસે નેહલની પુછપરછ શરૂ કરી હતી. જેમાં તેણે ચોંકાવનારી કબુલાત કરી હતી કે તેના પિયરમાં રહેતા એક યુવક સાથે પ્રેમસંબધ હતો.પરંતુઅનિલ  તેના પ્રેમની વચ્ચે આવતો હતો. જેથી તેણે પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરૂ ઘડયું હતું. જે મુજબ રાતના સમયે ઘરનો પાછળને દરવાજો ખુલ્લો રાખ્યો હતો. જેથી પ્રેમી તેના અન્ય એક સાગરિત સાથે ઘરમાં ઘુસી ગયો હતો અને  સાથે લાવેલી દોરીથી  અનિલને ગળાટુંપો આપ્યો હતો. આ સમયે અનિલે બચવાનો પ્રયાસ કરતા પેટમાં હથિયારથી ઇજાઓ પહોંચાડતા અનિલનું મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસ નેહલની અટકાયત કરવાની સાથે તેના પ્રેમીને પણ ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News