શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કર્યાની ફરિયાદ નોંધાઇ

વાસણા મહિલા પોલીસ કર્મીના આત્મહત્યાનો મામલો

મૃતકની સુસાઇડ નોટ અને મોબાઇલ ફોનના ડેટાને આધારે વાસણા પોલીસે પ્રેમી સામે કાર્યવાહી કરી

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
શંકાશીલ પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કર્યાની ફરિયાદ નોંધાઇ 1 - image

અમદાવાદ, સોમવાર

શહેરના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મીએ થોડા દિવસ પહેલા  વાસણા ખોડીયારનગર ખાતે ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. જે અંગે વાસણા પોલીસે મૃતકના સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામમાં જ રહેતા તેના જસવંત નામના પ્રેમી સામે ગુનો નોંધ્યો છે. મૃતકનો પ્રેમી તેના પર શંકા રાખીને વિડીયો કોલ કરીને સતત પરેશાન કરતો હતો. જેથી કંટાળીને તેણે  અંતિમ પગલું ભર્યાની ચિઠ્ઠી પણ પોલીસને મળી આવી હતી.પાલડી પોલીસ સ્ટેશનમાં એલઆરડી તરીકે ફરજ બજાવતી લલીતા પરમારે  છ દિવસ પહેલા વાસણા ખોડીયારનગર ખાતે ભાડાના મકાનમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી.  આ અંગે વાસણા પોલીસે તપાસ કરતા પોલીસ કર્મીએ  સુરેન્દ્રનગરના ધાગ્રધ્રાંના સોલડી ગામમાં રહેતા તેના  જસવંત રાઠોડ નામના પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાની સામે આવ્યું છે. પોલીસને સ્થળ પરથી એક ચિઠ્ઠી મળી આવી હતી. જે મરતા પહેલા લલીતાએ લખી હતી. જેમાં તેણે ઉલ્લેખ કર્યો હતો કે ગામમાં રહેતા  જસંવતના નામનો તેનો પ્રેમી  સતત વિડીયો કોલ અને ફોન કરતો હતો અને અન્ય કોઇ સાથે વાત ન કરવા માટે સતત ધમકી આપતો હતો. એટલું જ નહી તેને નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો. જેથી યુવતી કંટાળી ગઇ હતી. જેના કારણે તેણે જીવન ટુંકાવવાનું નક્કી કર્યું હતું. આ સંદર્ભના કેટલાંક પુરાવા તેના મોબાઇલ ફોનમાં હોવાનો ઉલ્લેખ અંતિમ ચિઠ્ઠીમાં કર્યો હતો. આ અંગે પોલીસે મૃતકના ભાઇની ફરિયાદને આધારે જસવંત રાઠોડ સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી હતી.

મૃતક લલીતા પરમારનું પહેલું પોસ્ટીંગ પાલડી ખાતે હતું અને તેણે ગત ૧૮મી ડિસેમ્બરના રોજ  નોકરી શરૂ કરી હતી.  ૨૦ દિવસ પહેલા જ તે તેના બહેનપણી સાથે  ખોડીયારનગરમાં ભાડેથી રહેવા માટે આવી હતી.


Google NewsGoogle News