ST બસમાં રૂમાલ મુકીને જગ્યા રાખીએ તેમ ડેર માટે પક્ષમાં જગ્યા રાખી છે: પાટીલ

Updated: Nov 19th, 2021


Google NewsGoogle News
ST બસમાં રૂમાલ મુકીને જગ્યા રાખીએ તેમ  ડેર માટે પક્ષમાં જગ્યા રાખી છે: પાટીલ 1 - image


બાવળિયા, મેરજા, ચાવડાના પક્ષપલટા પછી હવે ભાજપની ડેર પર નજર

ડેરના મતક્ષેત્ર રાજુલાના બાબરિયાધારમાં નિવેદનથી ચકચાર: ધારાસભ્યએ તેને નકારી નહીં કાઢીને વાણી સ્વાતંત્ર્ય ગણાવ્યું 

રાજકોટ : સૌરાષ્ટ્રમાં ગત ધારાસભા અને રાજ્યસભા ચૂંટણી ટાણે કોંગ્રેસના અનેક ધારાસભ્યોને ભાજપમાં સમાવાયા બાદ ભાજપનું પક્ષતોડો અભિયાન ફરી આગામી 2022ની ચૂંટણી અન્વયે આગળ વધ્યાના અણસાર મળ્યા છે.

આજે અમરેલી જિલ્લાના રાજુલા મતક્ષેત્રના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર સાથે એક મંચ પર કાર્યક્રમમાં હાજર રહેલા પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટિલે એવું જાહેર નિવેદન આપ્યું હતું કે મારી પાર્ટીમાં ડેરના ખાસ મિત્રો છે અને તેનો ઉદય જ ભાજપમાંથી થયો છે, અમે પક્ષમાં તેમના માટે જગ્યા રાખેલી જ છે. 

કોંગ્રેસના ધારાસભ્યના મતવિસ્તાર રાજુલાના બાબરીયાધારમાં આહીર સમાજના સમુહ લગ્નોત્સવ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પાટિલની સાથે મંચ પર કોંગ્રેસના ડેર ઉપરાંત ડો.કનુભાઈ કલસરિયા પણ હાજર હતા. 

સંબોધન દરમિયાન પ્રદેશ ભાજપ પ્રમુખે ધારાસભ્ય ડેરનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેમને તો ખખડાવવાનો પણ મને અિધકાર છે, એક દિવસ ખખડાવવા પડશે, એસ.ટી.બસમાં  જેમ રૂમાલ મુકીને આપણા માટે જગ્યા રાખીએ તેમ અમે ડેર માટે પક્ષમાં જગ્યા રાખી મુકી છે. આ નિવેદન ઉચ્ચારતી વખતે ડેરને બદલે સ્લીપ ઓફ ટંગથી ખેર શબ્દોચ્ચાર થયો હતો પરંતુ, આ નિવેદન બાદ અમરેલી જિલ્લાના રાજકારણમાં ભારે ગરમી આવી છે.

ગત ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ગઢ રહેલા આ વિસ્તારમાં અગાઉ એક ધારાસભ્ય પક્ષપલ્ટો કરી ચૂક્યા છે, ઉપરાંત સૌરાષ્ટ્રમાં બાવળિયા,મેરજા,ચાવડાએ પક્ષપલ્ટો કર્યો, મંત્રી બન્યા, મંત્રી પદ જતું પણ રહ્યું ત્યારે હવે કોંગ્રેસના રહ્યાસહ્યા સૃથાનિક પ્રભુત્વ ધરાવતા ધારાસભ્યોના પક્ષપલ્ટાના અણસાર પણ મળ્યા છે. 

આ નિવેદનને અંબરીશ ડેરે વખોડી કાઢ્યું ન્હોતું કે પાતે પક્ષપલ્ટો કરવાના નથી તેવું સોય ઝાટકીને નિવેદન  કરવાનું પણ ટાળ્યું છે અને દરેક પક્ષ ચૂંટાયેલા કે ચૂંટાઈ શકે તેવા નેતાને પોતાના પક્ષમાં લેવા ઈચ્છતા હોય છે અને પોતે સાતેક વર્ષ યુવા ભાજપમાં અગાઉ કામ પણ કર્યું છે ત્યારે સી.આર.પાટિલે મારા પ્રત્યેના ભાવથી જવાબદારીપૂર્વક આ નિવેદન કર્યું છે તેવો પ્રતિસાદ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં રાજ્યનાં ઉર્જા મંત્રી મુકેશ પટેલે પણ અમરીશ ડેરની મુલાકાત કરી હતી જ્યારે નજીકના સમયમાં જવા જુનીના એંધાણ છે.


Google NewsGoogle News