શાહપુરમાં દારૃડિયા પતિ અને દિયરે માર મારતાં મહિલાએ દવા પીધી
દોઢ વર્ષ પહેલા લગ્ન થયા, એક વર્ષથી કોઇ કારણ વગર પતિ દારુ પીને મારતો હતો
માર સહન ના કરવો હોય તો તારા પિયરમાં જતી રહે
અમદાવાદ, બુધવાર
શાહપુરમાં રહેતી મહિલાને દારુડિયા પતિ તથા દિયરે માર મારતાં મનમાં લાગી આવતાં મહિલાએ દવા પીને આત્મહત્યાની કોશિષ કરી હતી હાલમાં મહિલા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. શાહપુર પોલીસે ગુનો નોધીને તપાસ કરતા મહિલાના દોઢ વર્ષ પહેલા લગ્ન થયા હતા. એક વર્ષથી દારુ પીને કોઇ કારણ વિના મારઝૂડ કરતો હતો જેથી કંટાળીને મહિલાએ દવા ગટગટાવી હતી.
પતિ કહેતો મારી સાથે રહેવું હોય તો માર સહન કરવો પડેશે, માર સહન ના કરવો હોય તો તારા પિયરમાં જતી રહે
શાહપુરમાં રહેતી મહિલાએ શાહપુર પોલીસ સ્ટેશનમાં પતિ અને દિયર સામે શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે મહિલાના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતા. છ મહિના બાદ પતિ દારૃ પીને ઘરે આવીને કોઇને કોઇ વાતે ફરિયાદી પત્ની સાથે ઝઘડો કરીને મારઝૂડ કરતો હતો. મહિલા પતિને દારૃ ન પીવા માટે સમજાવતી હતી પરંતું તે માનતો ન હતો. બીજી તરફ પતિ અવાર નવાર કહેતો કે, તારે મારી સાથે રહેવું હોય તો મહેણાં ટોણા સાંભળવા પડશે અને મારો માર પણ સહન કરવો પડશે માર સહન ના કરવો હોય તો પિયરમાં જવાનું કહેતો હતો.
જો કે મહિલા ઘર સંસાર બગડે નહીં તે માટે સહન કરતી હતી. ગઇકાલે મંગળવાર સાંજે છ વાગ્યે મહિલા ઘરની બહાર ઉભી હતી ત્યારે પતિ દારૃ પીને આવીને તેમની સાથે ઝઘડો કરીને મારમાર્યો હતો. આ સમયે દિયર પણ ત્યાં આવીને પતિનું ઉપરાણું લઇને મહિલાને માર માર્યો હતો, પતિ અને દિયરે કરેલ ઝઘડાને કારણે મહિલાએ મનમાં લાગી આવતાં ઉંદર મારવાની દવા પીને તેમના માસીના ઘરે જતા રહ્યા હતા. જ્યાં તેમના માસીને ઘટનાની જાણ થતાં મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલ દાખલ કરી હતી.