BRTS રૂટની અવદશા, રેલિંગો અને બસ સ્ટેન્ડો જર્જરિત બન્યા
- અમદાવાદમાં જાહેર પરિવહન સેવા કથળી
- રૂટની મરામત માટે બે વર્ષ પહેલા મ્યુનિ.કમિશનરે 1કરોડ રૂપિયા ફાળવ્યા હતા. છતાંય કામ થયા નથી
અમદાવાદ,તા.21 જાન્યુઆરી 2021, ગુરૂવાર
અમદાવાદમાં બીઆરટીએસ રૂટના મરામત કામ માટે બે વર્ષ પહેલા મ્યુનિ.કમિશનર દ્વારા એક કરોડની રકમ ફાળવવામાં આવી હતી. મોટી રકમ ફાળવાઇ હોવા છતાંય હાલમાં આ રૂટ પરની લોખંડની રેલિંગો તૂટેલી હાલતમાં પડી છે, તેનો રંગ અને રોનક ઉડી ગઇ છે. ૪૫ લાખથી માંડીને ૧ કરોડના ખર્ચે બનેલા બસ સ્ટેન્ડો જાળવણીના અભાવે જર્જરિત અવસ્થામાં શોભાના ગાઠિયા સમાન બની ગયા છે. આ બદહાલી માટે મ્યુનિ.તંત્ર, સત્તાધીશો એટલા જ જવાબદાર છે.
અમદાવાદનો મહત્વકાંક્ષી બીઆરટીએસ પ્રોજેક્ટ ખોટનો ધંધો પુરવાર થયો છે. અન્ય વાહનચાલકોને સાઇડોમાં હડસેલી ફક્ત બીઆરટીએસ બસો માટે વચ્ચોવચ્ચ ઉભો કરાયેલો રૂટ શહેરીજનો માટે સુવિધાને બદલે દુવિધા ઉભી કરી રહ્યો હોવાની લાગણી દરેક શહેરીજનો અનુભવી રહ્યા છે.
બીઆરટીએસ પ્રોજેક્ટ પાછળ ૫૦૦ કરોડથી વધુનો ખર્ચ કરાયો હોવા છતાંય વાસ્તવિકતા એ છેકે શહેરીજનો માટે સારી, સસ્તી , સુગમ અને મનગમતી જાહેર પરિવહન સેવા પુરી પાડવામાં બીઆરટીએસ બસો સદંતર નિષ્ફળ પુરવાર થઇ છે. શહેરીજનોના મતે એએમટીએસ બસ સેવાના ભોગે બીઆરટીએસ બસ સેવાને આગળ કરવાની સત્તાધીશોની-અધિકારીઓની મનસા શહેરીજનો માટે નુકશાનકારક રહી છે.
બીઆરટીએસ બસ સેવા અમદાવાદમાં પ્રચલિત થઇ શકવામાં ઉણી ઉતરી છે. બસો ખોટ કરી રહી છે. એએમટીએસની બસ સેવા પડી ભાંગી છે. આ સંજોગોમાં લોકોએ જાહેર પરિવહનના ભરોષે રહેવાને બદલે પોતે જાતે ખાનગી વાહનો ખરીદીને નોકરી-ધંધે જવાનું વધારે પસંદ કરવા લાગ્યા છે.
હાલમાં શહેરમાં બીઆરટીએસના અનેક રૂટોની રેલિંગો તૂટી ગઇ છે. વચ્ચેના સળિયા કાપી નંખાયા છે. આગવી ઓળખ સમા રેલિંગો પર કરાયેલા પીળા-વાદળી કલરના પટ્ટા પણ રહ્યા નથી. આ સ્થિતિ છતાંય રેલિંગોની મરામત કે જાળવણી કરવામાં આવી રહી નથી. બીજી ખરાબ દશા બસ સ્ટેન્ડોની છે. મોટા ભાગના વિસ્તારોમાં બસ સ્ટેન્ડોની છત તૂટી ગઇ છે, ધૂળ-ધૂમાડાના કારણે આખું બસ સ્ટેન્ડ જ કાળા રંગે રંગાઇ ગયું હોય તેવા પણ દ્રશ્યો શહેરમાં ઠેકઠેકાણો જોવા મળી રહી છે.
બસ સ્ટેન્ડોમાં દરવાજા તૂટી ગયા છે, કાચ , ખુરશીઓ પણ કેટલીક જગ્યાએ તૂટેલી હાલતમાં છે. સફાઇનો અભાવ જોવા મળે છે. ઓટોમેટિક ડોરનું સંચાલન પણ કેટલાક બસ સ્ટેન્ડો પર બંધ પડયું છે. લાઇટો બંધ રહે છે. આ બધી અવ્યવસ્થા લોકોની હાલાકી વધારી રહી છે. નોંદપાત્ર છેકે દિલ્હીમાં સદંતર નિષ્ફળ રહેલો બીઆરટીએસનો પ્રોજેક્ટ અમદાવાદમાં મોટા ઉપાડે અમલી બનાવાયો છે. જોકે અમદાવાદનો પ્રોજેક્ટના હાલ પણ દિલ્હી જેવા થયા છે.
જશોદાનગરથી વાંચ ગામ સુધી બીઆરટીએસ રૂટ બનાવાયું ભુલાયું
અમદાવાદ મ્યુનિ.બજેટમાં જશોદાનગરથી વાંચ ગામ સુધી નવો બીઆરટીએસ રૂટ બનાવવાનું નક્કી કરાયું હતું. પરંતુ શહેરમાં આ બસ સેવાની હાલત જોઇને હજુ સુધી આ નવો રૂટ બનાવાયો નથી કે માંડી વાળવામાં આવ્યો હોય તેવો ઘાટ ઘડાયો છે.
જશોદાનગરથી સરદાર પટેલ રિંગ રોડ સુધી ૧૦ કરોડના ખર્ચે ડોકારના ભક્તિ પથનું નવનિર્માણનું કામ હાલમાં ચાલી રહ્યું છે. અહિયાંથી દસક્રોઇ તાલુકાના વાંચ ગામ સુધી બીઆરટીએસ રૂટ નાંખવાનું મ્યુનિ.બજેટમાં વચન અપાયું હતું.
જોકે આજદીન સુધી આ દિશામાં કોઇ કામગીરી કરાઇ નથી. ઉલટાનું અમદાવાદ શહેરમાં જ કેટલાક રૂટો કોરોનાકાળ બાદ રદ કરવાની નોબત આવી ગઇ છે.
ટ્રાફિકની સમસ્યા વધી સુવિધાને બદલે દુવિધા વધી
બીઆરટીએસ રૂટના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યાએ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. રોડ પર મોટાભાગની અને મધ્ય ભાગની જગ્યા બીઆરટીએસ રૂટે લઇ લીધી છે. આજુબાજુના સાંકળા રોડ પર અન્ય તમામ વાહનોની અવર-જવર રહેતી હોવાથી પીક-અવર્સમાં ચક્કાજામ થવું સ્વાભાવિક બની ગયું છે.
સારંગપુરથી ઓઢવના રૂટ પર, નરોડાથી નારોલના રૂટમાં, સાંરગપુરથી લાલદરવાજા, કાલુપુરથી દિલ્હી દરવાજા થઇને આશ્રમ રોડનો રૂટ, અંજલી ચાર રસ્તાથી બંને સાઇડનો રૂટ, મણિનગર, શાહીબાગ, અમરાઇવાડી, જશોદાનગર, ઇસનપુર, નારોલ સહિતના રૂટો પર સવિશેષ ટ્રાફિકજામની સમસ્યા રહે છે.
બીઆરટીએસ રૂટ પર અન્ય વાહન ચાલકો નાછૂટકે ઘૂસી જવા મજબૂર બન્યા છે. અકસ્માતોના બનાવો વધતા અને અન્ય વાહનોની અવર-જવરના કારણે બીઆરટીએસ બસોને અવરોધ ઉભો થતા અગાઉ દરેક જગ્યાએ બીઆરટીએસ રૂટ પર સુરક્ષા જવાનો દોરડા લઇને ઉભા કરી દેવાયા હતા.
ત્યાર બાદ હવે બસ સ્ટેન્ડ પર ઓટોમેટિક દરવાજા લગાવી દેવાયા છે. સાઇડ રોડમાં દબાણોના કારણે ટ્રાફિકજામ થાય છે.આમ લોકોની હાલાકી વધી ગઇ છે. લોકડાઉન બાદ કેટલાક રૂટો બંદ પડયા છે જે ચાલુ પણ કરાયા નથી.
બીઆરટીએસના મુસાફર હિનાબેન ચૌહાણના જણાવ્યા મુજબ ઓઢવથી વાડજ જતા રૂટમાં સારંગપુરમાં બીઆરટીએસનું બસસ્ટેન્ડ જ ન હોવાથી તેઓએ છેક ે કિ.મી.દુર કાલુપુર બીઆરટીએસ બસ સ્ટેશને ઉતરવાની ફરજ પડી રહી છે. જેના કારણે સારંગપુરના મુસાફરોને હાલાકી ભોગવવી પડી રહી છે.