વસ્ત્રાલમાં જ્વેલર્સને ઢોર માર મારી દુકાનમાં તોડફોડ કરી આતંક મચાવ્યો
દુકાનમાંથી દાગીના સહિતનો સમાન ફેંકી દીધો
દુકાન વેચાણ આપવા લીધેલા ૧૧ લાખ પરત આપવાના બદલે ખાલી કરાવવા મારામારી કરી
અમદાવાદ, તા, 6, એપ્રિલ, 2019, શનિવાર
વસ્ત્રાલમાં દુકાન ખાલી કરાવવા માટે પાંચ શખ્સોએ જ્વેલર્સને લાકડીઓથી ઢોર મારમાર્યો હતો અને દુકાનમાંથી દાગીના સહિતના માલ સામાન રોડ પર ફેંકી દીધો હતો. પોલીસ તપાસમાં દુકાન વેચાણ લેવા માટે લીધેલા રૃા.૧૧ લાખ પરત આપવા ના પડે માટે દુકાનના માલીકે તોડફોડ દુકાનમાં તોડફોડ કરી હતી.
ઓઢવ આદિનાથનગરમાં ગોકુલનગરમાં રહેતા અને વસ્ત્રાલ મહાદેવનગરમાં શ્રી ગણેશ જ્વેલર્સની દુકાન ધરાવતા જગદીશકુમાર.કે.મોદીએ ફરિયાદ નોંધાવી છ કે દુકાનના માલિક દયાનંદ હીરાસીંગ યાદવે પોતાની દુકાન ૧૪ વર્ષ પહેલા ભાડે આપી હતી. જે દુકાન ૨૦૧૬માં વેચાણ લેવા માટે ફરિયાદીએ રૃા. ૧૧ લાખ રોકડા આપ્યા હતા. પરંતુ આ સ્થળેથી મેટ્રો પ્રોજેક્ટ પસાર થતાં દુકાન આપવાના બદલે ભાડુ વધારવાની વાત કરતા હતા. જ્યારે ડિપોઝીટ તથા દુકાન માટે આપેલા રૃપિયા પરત આપતા ન હોવાથી તકરાર ચાલી રહી હતી.
ગઇકાલે બપોરે માલિક પરિવાર સાથે દુકાનમાં આવ્યા હતા અને દુકાનમાંથી મીટર બહાર કાઢવાનુ હોવાથી ફર્નિચર તથા શટલ તોડવાની વાત કરી હતી. ફરિયાદીને ના પાડતાં તકરાર કરીને ફરિયાદી સાથે ઝપાઝપી શરૃ કરી હતી એટલું જ નહી અજાણ્યા શખ્સોએ લાકડીઓથી હુમલો કરીને ઢોર મારમાર્યો હતો જેથી ફરિયાદીના દાંત પણ તૂટી ગયા હતા, મારમારીને દુકાનમાં તોડફોડ કરીને દાગીના સહિતનો માલ સામાન બહાર ફેકી દીધો હતો. ફરિયાદીએ પોલીસને જાણ કરતાં રામોલ પોલીસ આવી પહોચી હતી ફરિયાદીને હોસ્પિટલમાં ખસેડયા બાદ પોલીસે ઘરના પાંચ સભ્યો સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.