ગુજરાત સરકારે કોવિડ મૃત્યુસહાય અંગે આદેશોની અવગણના કરી છેઃ સુપ્રીમ

રાજ્ય સરકારના પરિપત્ર-કામગીરીની ઝાટકણી

લોકોને સહાય મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે સમિતિ રચવાનું કહેવાયું હતું પરંતુ સરકારે તો સ્ક્રુટિની સમિતિ બનાવી દીધી!: કોર્ટ

Updated: Nov 19th, 2021


Google NewsGoogle News

અમદાવાદ, ગુરૃવાર

કોવિડના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારને સહાય અંગે ગુજરાત સરકારે બનાવેલી સ્ક્રુટિની સમિતિ અને સ્ક્રુટિનિી સમિતિનું ગઠન કરતા પરિપત્રની સુપ્રીમ કોર્ટે આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી છે. કોર્ટે કહ્યું છે કે લોકોને સહાય મેળવવામાં મુશ્કેલી ન પડે તે માટે જિલ્લ સ્તરે સમિતિની રચના કરવાનો આદેશ કરાયો હતો પરંતુ રાજ્ય સરકારે કોર્ટના આદેશની અવગણના કરી સ્ક્રુટિની સમિતિની રચના કરી દીધી છે. કેસની વધુ સુનાવણી ૨૨મી નવેમ્બરના રોજ નિયત કરવામાં આવી છે.


સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની ખંડપીઠે આજે નોંધ્યું છે કે ૪-૧૦-૨૦૨૧ના નિર્દેશમાં સુપ્રીમ કોર્ટે જિલ્લા સ્તરે નિરાકરણના ઉકેલ માટે સમિતિની રચના કરવાનું કહ્યું હતું. જેથી કોવિડ અંગેના મૃત્યુ પ્રમાણપત્ર અને ત્યારબાદ સહાયનું જલદીથી વિતરણ થઇ શકે અને કોઇ પરિવારને મૃત્યુ પ્રમાણપત્રના કારણે મુશ્કેલી પડે તે સહાય ન મળી હોય તો તેમની સમસ્યાઓનો ઉકેલ આપી શકે, પરંતુ રાજ્ય સરકારે ૨૯મી ઓક્ટોબરના રોજ પરિપત્ર જારી કરી સ્ક્રુટિની સમિતિની રચના કરી છે. આ પરિપત્ર પરથી લાગી રહ્યું છે કે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશોની ઉપરવટ જવાની કે તેની અવગણના કરવાનો પ્રયત્ન કર્યો છે.

કોવિના કારણે મૃત્યુ પામેલા લોકોને સહાય ચૂકવવા માટે સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો ખૂબ જ સ્પષ્ટ છે. જેના હેઠળ વળતર ચૂકવવા માટે સ્ક્રુટિની કમિટીની રચના કરવાની કોઇ જરૃર નથી. જિલ્લા સ્તરે નિરાકરણ સમિતિની રચનાનો નિર્દેશ અપાયો હતો. આર.ટી.-પી.સી.આર. ટેસ્ટમાં કોવિડ પોઝિટિવનો રિપોર્ટ અને તેના ૩૦ દિવસમાં મૃત્યુ થયાનું પ્રમાણપત્ર હોય તેવાં કેસમાં વળતર આપવાનો આદેશ કરાયો હતો. જો કોઇ કિસ્સામાં પ્રમાણપત્રમાં કોવિડના કારણે મૃત્યુ થયાનો ઉલ્લેખ ન હોય તો પણ કોવિડ પોઝિટિવ આવ્યાના ૩૦ દિવસમાં મૃત્યુ થયું હોય તો પણ સહાય ચૂકવવાનો આદેશ કરાયો છે. આમ છતાં કોઇ વિચારણા વગર આ પ્રકારનો પરિપત્ર જારી કરવામાં આવ્યો છે. કોર્ટે રાજ્ય સરકારને ૨૨મી નવેમ્બર સુધીમાં જવાબ આપવા નિર્દેશ કર્યો છે.


Google NewsGoogle News