વડોદરામાં સયાજીગંજ રેલવે અને પ્રિય લક્ષ્મી મિલના ગરનાળામાં ફરી પાણી ભરાયા
Vadodara Rain Update : વડોદરા શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા રેલ્વે પ્રિય લક્ષ્મી મિલ ગરનાળામાં અને રેલ્વે સ્ટેશન પાસેના સયાજીગંજ ગરનાળામાં આજે વહેલી સવારે પડેલા ધોધમાર વરસાદના કારણે પાણી ભરાવવા શરૂ થયા છે.
બંને ગરનાળામાંથી પાણી ઉતરતા અગાઉ વધુ વરસાદ પડશે અને તેના કારણે વધુ પાણી ભરાશે તો આ બંને ગરનાળા સલામતીના કારણોસર ફરી એકવાર વાહન વ્યવહાર અને અવરજવર માટે બંધ કરવાની તંત્રને ફરજ પડશે. આ અંગે વાહનચાલકોએ નિયત મુજબના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવા ફરજ પડશે. ઉલ્લેખનીય છે કે ચાર દિવસ અગાઉ પડેલા ભારે વરસાદના કારણે સતત બે દિવસ સુધી આ બંને ઘરનાળા બંધ રહેતા વાહનચાલકોને અટલ બ્રિજ, શાસ્ત્રી બ્રિજ અને જેતલપુર બ્રિજનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. પરિણામે આ ત્રણેય બ્રિજ પર દિવસ દરમિયાન સતત ટ્રાફિકજામ સર્જાતો હતો.