Get The App

અમદાવાદ મ્યુનિ.ના પ્રથમ એફ.એમ. સ્ટેશનથી લઈ અનેક દરખાસ્ત માત્ર કાગળ ઉપર

ભદ્ર સ્કેવર ડેવલપ કરવા ઉપરાંત જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને ડેવલપ કરવા ૧૩ કરોડની ફાળવણી ગત વર્ષના બજેટમાં કરવામાં આવી હતી

Updated: Dec 19th, 2021


Google News
Google News
અમદાવાદ મ્યુનિ.ના પ્રથમ એફ.એમ.  સ્ટેશનથી લઈ અનેક દરખાસ્ત માત્ર કાગળ ઉપર 1 - image


અમદાવાદ,શનિવાર,18 ડીસેમ્બર,2021

સ્માર્ટ સિટીનો ટેગ ધરાવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મંજુર કરાતા વાર્ષિક બજેટમાં શહેરીજનોને હથેળીમાં ચાંદ બતાવવા જેવી જાહેરાત કરતા હોય છે.બીજા વર્ષે બજેટ મંજુર થઈ જાય એમ છતાં અગાઉના વર્ષે મંજુર કરાયેલી દરખાસ્તો કાગળ ઉપર જ રહે છે.ગત વર્ષે શાસકોએ મંજુર કરેલા બજેટમાં મ્યુનિ.નું રાજયભરમાં પ્રથમ એફ.એમ. રેડીયો સ્ટેશન શરુ કરવાથી લઈ ભદ્ર સ્કેવર ડેવલપ કરવા તથા જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને ડેવલપ કરવા સહિતની અનેક દરખાસ્તો માત્ર કાગળ ઉપર રહી છે.ભદ્ર સ્કવેર અને જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને ડેવલપ કરવા ૧૩ કરોડની રકમ ફાળવવામાં આવી હતી.લોકોના મતથી ચૂંટાયેલા મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્તમાન શાસકો વિકાસના નામે પ્રજાને સપના જ બતાવી રહ્યા હોવાનું ફલિત થાય છે.

ગત વર્ષે અમદાવાદ મ્યુનિ.નું ૮૦૫૧ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યુ હતું.બજેટ મંજુર કરતી વખતે શાસકપક્ષ લોકોની વાહ વાહ  મેળવવા   શકય ના બની શકે એવા પ્રોજેકટોની જાહેરાત કરી જે તે પ્રોજેકટ માટે રકમની ફાળવણી પણ કરી દેતા હોય છે.વર્ષાંતે તો એ પ્રોજેકટ કાગળ ઉપર જ રહેતા હોય છે તો પછી આવા પ્રોજેકટની જાહેરાત શાસકો કેમ કરતા હશે?એ ચર્ચાનો વિષય છે.બીજુ જે પ્રોજેકટ હાથ ધરાવવાના જ ના હોય એવા પ્રોજેકટો માટે કરોડો રુપિયાની ફાળવણી કરાય છે એના બદલે ઉભરાતી ગટરો કે પીવાનુ પાણી જે વિસ્તારમાં પહોંચતુ નથી એવા પ્રોજેકટ  માટે સત્તાધીશોને રકમ ફાળવવામાં કેમ રસ જાગતો નથી એ લોકોમાં ચર્ચાઈ રહ્યુ છે.

અમદાવાદને વર્ષ-૨૦૧૭માં યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ સિટી જાહેર કર્યુ એ પછી ગત વર્ષે મ્યુનિ.શાસકોએ મોટા ઉપાડે જાહેરાત કરી હતી.રાજયભરમાં અમદાવાદ મ્યુનિ.સૌ પ્રથમ એફ.એમ.રેડીયો સ્ટેશન શરુ કરશે.મ્યુનિ.ની માલિકીની અમદાવાદમાં આવેલી એક હજાર મિલ્કતોમાં આ રેડીયો સ્ટેશનથી પ્રસારીત થનારા ગીત,સંગીત,વાર્તાલાપ સહિતના કાર્યક્રમો સાંભળવા મળશે.ઉપરાંત શહેરીજનોને આ રેડીયોની મદદથી ચોમાસાની મોસમ કે આક્સ્મિક સમયે ઉપયોગી માહિતી પુરી પડાશે. આ સ્ટેશન શરુ કરવા પાંચ કરોડની રકમ ફાળવવામાં આવી હતી.ઉપરાંત ભદ્ર ફોર્ટથી ત્રણ દરવાજા સુધીના વિસ્તારને સીટી સ્કેવર તરીકે વિકસાવી તેમાં લાઈટીંગ, ફાઉન્ટેન સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી ફેરીયાઓને વૈક્લ્પિક જગ્યા આપી અન્યત્ર ખસેડવા જાહેરાત કરાઈ હતી.ગુજરીબજારમાં રવિવાર સિવાયના દિવસોએ અન્ય ટ્રેડીશનલ માર્કેટનું આયોજન કરવા દસ કરોડની રકમ જયારે જગન્નાથ મંદિર આસપાસના વિસ્તારને વિકસિત કરવા ત્રણ કરોડની રકમ ફાળવવામાં આવી હતી.

અભેરાઈ ઉપર મુકી દેવાયેલા પ્રોજેકટ

પ્રોજેકટ                 ફળવાયેલી રકમ(કરોડમાં)

એફ.એમ.રેડીયો સ્ટેશન         પાંચ

હેરીટેજ કોન્ફરન્સ               ત્રણ

જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ     ત્રણ

સીટી એન્ટ્રી-ટ્રાન્સપોર્ટ હબ      પાંચ

ફૂટ ઓવરબ્રીજ                 દસ

વોલ સીટી રીવાઈટ પ્લાન      એક

Tags :
AMCBudgetpraposal

Google News
Google News