હાર્દિક પટેલ પર નારાજ પાટીદારો હુમલો કરી શકે તેવા ઇનપુટ પોલીસને મળ્યા
કમલમ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા આદેશ
પાટીદારોના નામ પર નેતા બનનાર હાર્દિક પટેલથી સમાજનો મોટો વર્ગ નારાજ
અમદાવાદ
પાટીદાર અનામત આંદોલનથી લડત શરૂ કરનાર હાર્દિક પટેલ હવે ભાજપનો ખેસ પહેરવાનો છે. જો કે હાર્દિક પટેલે ૧૪ પાટીદાર યુવાનોના મોતનો મલાજો ભુલીને ભાજપમાં જોડાઇ રહ્યો હોવાથી પાટીદાર સમાજના ચોક્કસ વર્ગમાં રોષ છે. જેના કારણે ગુરૂવારે કમલમ ખાતે હાર્દિકના કેસરિયા ધારણ કરતા સમયે કેટલાંક લોકો તેના પર હુમલો કરી શકે તેવા ઇનપુટ પોલીસને મળતા હવે ગુરૂવારે કમલમ પર બંદોબસ્ત વધારવા માટે આદેશ અપાયો છે. હાર્દિક પટેલ ગુરૂવારે વિધિવત રીતે ભાજપમાં જોડાવાનો છે. જેને લઇને પાટીદાર સમાજના ચોક્કસ વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને પાટીદાર અનામત આંદોલન સમયે પોતાના પુત્ર કે ઘરના મોભી ગુમાવનારાઓને સરકાર દ્વારા જાહેર કરાયા મુજબની મદદ નથી કરવામાં આવી. તો પાટીદાર સમાજનો ઉપયોગ કરીને હાર્દિક પટેલે રાજકીય પાયો બનાવ્યો હોવાનો આરોપ પણ મુકાયો છે. ત્યારે હવે તે ભાજપનો ખેસ ધારણ કરશે તે વાતને લઇને તેના પરનો ગુસ્સો ચરમસીમા પર આવી શકે તેમ હોવાના ઇનપુટ આઇબીને મળ્યા છે. જેમાં કમલમમાં તેના પર કેટલાંક લોકો હુમલો થઇ શકે છે. જેમાં સમર્થકના રૂપમાં આવીને કોઇ કમલમ ખાતે માહોલ બગાડી શકે છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લઇને ગાંધીનગર પોલીસને બંદોબસ્ત વધારવા અને શંકાસ્પદ લોકો પર નજર રાખવા માટે સુચના આપવામાં આવી છે.એક પાટીદાર યુવકે જણાવ્યું હતું કે અનામત આંદોલન સમયે હાર્દિક પટેલે યુવાનોને ગેરમાર્ગે દોરીને સમગ્ર ગુજરાતમાં અરાજકતા સર્જવા માટે તૈયાર કર્યા હતા. જેમાં ૧૪ પાટીદારોના મોત થયા હતા. સેંકડો યુવકો પર પોલીસ કેસ થયા હતા. આમ, હવે હાર્દિક પોતાની રાજકીય મહત્વકાક્ષા પુરી કરવા માટે સમાજ સાથે પણ દગો કરી રહ્યો છે. જે ખેદજનક બાબત છે અને આનું પરિણામ હાર્દિકને ભોગવવુ પણ પડશે.