સોમવારથી ૮૦ વર્ષ જુના સરદારબ્રીજનું સમારકામ શરુ કરાશે

એક તરફનો વાહન વ્યવહાર ચાલુ રખાશે

બંને તરફ વીસ-વીસ એકસપાન્શન જોઈન્ટ બદલવાની કામગીરી કરાશે

Updated: Nov 12th, 2021


Google NewsGoogle News

     સોમવારથી ૮૦ વર્ષ જુના સરદારબ્રીજનું સમારકામ  શરુ કરાશે 1 - image

  અમદાવાદ,શુક્રવાર,12 નવેમ્બર,2021

અમદાવાદ શહેરના ૮૦ વર્ષ જુના સરદારબ્રીજનું સોમવારથી સમારકામ શરુ કરવામાં આવશે.બ્રીજ પર બંને તરફ વીસ-વીસ એકસપાન્શન જોઈન્ટ વારાફરતી બદલવામાં આવશે.આ કારણથી બ્રીજનો એક તરફનો વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે.૧૫ જાન્યુઆરી-૨૦૨૨ સુધીમાં કામગીરી પુરી થવાની સંભાવના તંત્ર તરફથી વ્યકત કરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અગાઉ અન્ય બ્રીજના સમારકામની કામગીરી પુરી કર્યા બાદ સોમવારથી સરદારબ્રીજના એકસપાન્શન જોઈન્ટ બદલવાની કામગીરી શરુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આ કારણથી બ્રીજ ઉપર એક તરફનો રસ્તો બેરીકેડ મુકી વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે.વૈકલ્પિક માર્ગ તરીકે આંબેડકર બ્રીજ સહિતના અન્ય માર્ગોનો વાહન ચાલકોને ઉપયોગ કરવાનો રહેશે.અંદાજે રુપિયા  ૮૦ લાખના ખર્ચે બંને તરફના વીસ-વીસ એકસપાન્શન જોઈન્ટ બદલવામાં આવનાર છે. સરદારબ્રીજ સમારકામને કારણે એક તરફ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવનાર હોવાથી  બ્રીજ ઉપર સમારકામની કામગીરી પુરી નહીં થાય ત્યાં સુધી ટ્રાફિક જામની પરિસ્થિતિ જોવા મળશે.


Google NewsGoogle News