ભારત-પાકિસ્તાનની મેચમાં ૧૦૦થી વધુ મોબાઇલ અને પર્સની ચોરી
પોલીસે ૬૦થી વધુ શકમંદોની અટકાયત કરી
અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ૨૪ કેરેટ સોનાનો આઇ ફોન ચોરી થયોઃ ચાંદખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
અમદાવાદ,
રવિવાર
ભારત પાકિસ્તાનની મેચમાં સવા લાખ જેટલા પ્રેક્ષકોને કારણે ભીડની સ્થિતિની તકનો લાભ લઇને કેટલાંક તત્વોએ ૧૦૦થી વધુ મોબાઇલ અને પર્સની ચોરી કરી હતી. જેમાં બોલીવુડની અભિનેત્રી ઉર્વશી રૌતેલાનો ૨૪ કેરેટ ગોલ્ડનો આઇફોન ફોન પણ ચોરી થયો હતો. આ અંગે પોલીસે આઇએમઇઆઇ નબરને આધારે તપાસ શરૂ કરી છે. આ સાથે કેટલાંક શકમંદોની અટકાયત પણ કરી છે. ભારત પાકિસ્તાનની મેચમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કેટલાંક લોકોએ દર્શક તરીકે આવીને ભીડનો ગેરલાભ લઇને ે પર્સ અને મોબાઇલ ફોનની ચોરી કરી હતી. તો અનેક લોકોના મોબાઇલ ફોન અને પર્સ સહિતની કિંમતી ચીજવસ્તુઓ પડી પણ ગઇ હતી. ત્યારે કેટલાંક વીવીઆઇપી સેેલીબ્રેટીઓને પણ ટારગેટ કરવામાં આવી હતી. જેમાં બોલીવુડની અભિનેત્રી ઉવર્શી રૌતેલાનો મોબાઇલ ફોન ગેટ નંબર ૧ પાસેથી બપોરના સમયે કોઇએ તફડાવી લીધો હતો. જે અંગે તેમણે ચાંદખેડા પોલીસે મથકે ફરિયાદ નોંધાવી હતી. ચાંદખેડા પોલીસ મથકે અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ મોબાઇલ ફોન અને પર્સની ચોરી થયાની અરજીઓ આવી છે. જેમાં મોબાઇલ ફોન ચોરી અંગે ઓનલાઇન ફરિયાદ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. જો કે હજુ પણ મોબાઇલ ચોરીનો આંક વધી શકે તેવી શક્યતા પોલીસ અધિકારીઓએ વ્યક્ત કરી છે. કારણ કે ઘણા પ્રેક્ષકો પાસે બીલ કે તેને લગતા પુરાવાને આધારે પોલીસમાં અરજી થઇ શકે છે. આ સાથે પોલીસે ૫૫ જેટલા શકમંદોની સ્ટેડિયમ અને તેની આસપાસમાંથી અટકાયત પણ કરી છે.