Get The App

આજથી લગ્નસરા : અમદાવાદના ૭૦ ટકા પાર્ટીપ્લોટ- હૉલ બૂક

-આગામી ૧૩ ડિસેમ્બર સુધી લગ્નના ૧૩ મુહૂર્ત

-કોવિડ ગાઇડલાઇન્સમાં છૂટછાટ અપાતાં બે વર્ષથી લગ્નસરાની ખોવાયેલી રોનક પરત ફરશે

Updated: Nov 14th, 2021


Google NewsGoogle News

અમદાવાદ, રવિવાર

દેવ ઉઠી એકાદશી સાથે જ આવતીકાલથી લગ્નસરાનો પણ પ્રારંભ થશે. આગામી ૧૪ ડિસેમ્બરે કમૂર્તા બેસશે ત્યાં સુધી લગ્ન માટેના કુલ ૧૩ મુહૂર્ત છે. કોરોનાના કેસમાં ઘટાડો થતાં આ વખતે લગ્ન સમારોહમાં ૪૦૦ને પરવાનગી આપવામાં આવી છે. કોરોનાએ પગપેસારો કર્યા બાદ લગ્ન સમારોહમાં આટલી મોટી સંખ્યામાં અતિથિ ઉપસ્થિત રહે તેવું પ્રથમવાર બનશે. જેના કારણે આગામી એક મહિના સુધી અમદાવાદના ૭૦% પાર્ટીપ્લોટ, હોલ હાઉસફૂલ થઇ ગયા છે.

દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધીના સમયગાળા દરમિયાન લગ્ન આયોજન પર બ્રેક લાગી જતી હોય છે. આ ચાર મહિનાના સમયગાળાને હિંદુ ચાતુર્માસ પણ કહેવામાં આવે છે. હિંદુ ચાતુર્માસ પૂર્ણ થતાં લગ્નનું સૌપ્રથમ શુભ મુહૂર્ત ૧૫ નવેમ્બરના છે. કોરોનાકાળને લીધે છેલ્લા બે વર્ષથી લગ્નસમારોહ ધામધૂમથી યોજી શકાતા નહોતા. મર્યાદિત અતિથિઓની ઉપસ્થિતિમાં ડીજે વિના જ લગ્ન યોજવા પડતા હતા. પરંતુ હવે કોરોનાના ઘટતા કેસ અને વેક્સિનેશન વધતા લગ્ન સમારોહ યોજવામાં વિવિધ છૂટછાટ આપવામાં આવી છે. જેના પગલે યજમાનો ઉત્સાહપૂર્વક લગ્નપ્રસંગ યોજવા અને અતિથિઓ તેમાં ઉપસ્થિત રહેવા માટે થનગની રહ્યા છે.

લગ્ન સમારોહ માટે કોવિડ ગાઇડલાઇન્સમાં કેટલીક છૂટછાટ આપવામાં આવતા પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલ, ડીજે, હોટેલ સહિતના વિવિધ વ્યવસાયમાં બે વર્ષથી ખોવાયેલી રોનક પરત ફરી છે. પાર્ટી પ્લોટ-બેન્ક્વેટ હોલના માલિકોના મતે કોરોનાના કેસને પગલે જુલાઇ સુધી અમારી પાસે બૂકિંગનું પ્રમાણ ખૂબ જ સાધારણ હતું. પરંતુ ઓગસ્ટ મહિનાથી જ ઈન્ક્વાયરીમાં સતત વધારો થવા લાગ્યો અને હવે સ્થિતિ એ છે કે જાન્યુઆરી સુધીના બૂકિંગ થઇ ગયા છે. ફેબુ્રઆરીમાં જેમના લગ્ન છે તેઓ હજુ ડિસેમ્બર સુધી કોરોનાના કેસની સ્થિતિને આધારે નિર્ણય લેશે. પાર્ટી પ્લોટ, બેન્ક્વેટ હોલમાં ઠેકઠેકાણે સેનિટાઇઝર પોઇન્ટ સહિતની વ્યવસ્થા પણ આ વખતે કરવામાં આવી છે.

કોરોના કાળમાં ડીજે, બેન્ડવાજાના વ્યવસાયને પણ મોટો ફટકો પડયો હતો. પરંતુ હવે તેમના બૂકિંગ પણ આગામી એક મહિના સુધી પેક થઇ ગયા છે. અમદાવાદની અનેક હોટેલના મોટાભાગના રૃમ પણ આગામી ૧૫ ડિસેમ્બર સુધી બૂક થઇ ગયા છે. આમ, લગ્નસરા સાથે જ હોેટેલ બિઝનેસમાં પણ તેજીનો વાયરો ફૂંકાયો છે.

કંકોત્રીને સ્થાને 'ઈ કાર્ડ' મોકલવાનું ચલણ

લગ્નની કંકોત્રી લખવી તે દરેક પરિવાર માટે પણ એક વિશેષ પ્રસંગ હોય છે. જોકે, કોરોનાકાળમાં મોટાભાગના લોકો શકન પૂરતી જ કંકોત્રી છપાવી રહ્યા છે. જેના સ્થાને હવે ઈ-મેઇલ, વોટ્સ એપ દ્વારા ઈ કાર્ડ મોકલવાના ચલણમાં વધારો થયો છે. અનેક યજમાનો લગ્ન માટે આમંત્રણ આપતા હોય તેવો ખાસ વિડિયો પણ બનાવી રહ્યા છે. આ નવું વલણ જોતાં કંકોત્રી આપવા જવી તે આવનારા સમયમાં ભૂતકાળ જ બની જાય તો નવાઇ નહીં.

 


Google NewsGoogle News