ધો.૧૦ના ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓને ડિપ્લોમા પ્રવેશની સરકાર દ્વારા મંજૂરી

માસ પ્રમોશનમાં ગ્રેસિંગથી પાસ અંદાજે ૧ લાખથી વધુ વિદ્યાર્થી

આ વિદ્યાર્થીઓ માટે આજથી નવુ રજિસ્ટ્રેશનઃ હવે ચોથો રાઉન્ડ થશે

Updated: Nov 8th, 2021


Google NewsGoogle News
ધો.૧૦ના  ગ્રેસિંગ પાસ વિદ્યાર્થીઓને  ડિપ્લોમા પ્રવેશની સરકાર દ્વારા મંજૂરી 1 - image

અમદાવાદ

ધો.૧૦માં ગ્રેસિંગ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓને અંતે ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટે સરકારે મંજૂૂરી આપી દીધી છે. આ વર્ષે ધો.૧૦માં માસ પ્રમોશનમાં અંદાજે ૧ લાખથી વધુ વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થયા છે ત્યારે સરકારે મોડે મોડે દિવાળી બાદ પ્રવેશની મંજૂરી આપવાની જાહેરાત કરી છે.જેને પગલે હવે આ વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ મળશે.

ધો.૧૦માં આ વર્ષે બોર્ડ પરીક્ષા રદ કરી સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામા આવ્યુ છે ત્યારે માસ પ્રમોશન સાથે પાસ થનારા એક લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.ડિપ્લોમા ઈજનેરીમાં પ્રવેશ માટેના નિયમો મુજબ ગ્રેસિંગ સાથે કુલ ૩૫ ટકા ગુણ લાવનારા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો નથી.જેથી ગ્રેસિંગથી પાસ આ વિદ્યાર્થીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા હતા.જેને પગલે ડિપ્લોમા કોલેજ એસોસિએશને પ્રવેશ સમિતિ અને સરકારને પ્રવેશ આપવા ઉગ્ર રજૂઆતો પણ કરી હતી.ત્યારબાદ સરકારે ગ્રેસિંગથી પાસ સહિતના વિદ્યાર્થીઓને પ્રવેશ સહિતના મુદ્દે કમિટી બનાવી હતી.આ કમિટીએ સરકારને રિપોર્ટ આપી હતી અને જેમાં ગ્રેસિંગથી પાસ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ભલામણ કરવામા આવી હતી.આ રિપોર્ટ સરકારને ઘણા દિવસો પહેલા સોંપાઈ ગયો હતો.પરંતુ સરકારે મોડે મોડે દિવાળી બાદ પ્રવેશ આપવા મંજૂરી આપી છે.


ડિપ્લોમા ઈજનેરીની સરકારી ૫૩૪૮ અને ખાનગીની ૩૨૧૮૮૫ બેઠકો હજુ પણ ખાલી

અમદાવાદ,

ગ્રેસિંગ સાથે ધો.૧૦માં ૩૫ ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા તમામ વિદ્યાર્થીઓ માટે હવે આવતીકાલે ૯મીથી નવુ રજિસ્ટ્રેશન શરૃ કરવામા આવનાર છે.પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશનો ચોથો રાઉન્ડ જાહેર કરવામા આવ્યો છે.હાલ ૩૭ હજારથી વધુ બેઠકો ખાલી પડી છે.

ડિપ્લોમા પ્રવેશ સમિતિ દ્વારા આવતીકાલે ૯મીથી નવા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૃ કરાશે અને જેમાં ૧૪મી સુધી રજિસ્ટ્રેશન ચાલશે.અગાઉ રજિસ્ટ્રેશન ન કરાવેલ અને મેરિટમાં સમાવિષ્ટ ન થયા હોય તેવા પણ તમામ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન કરાવી શકશે. આઈટીઆઈ-ટીઈબીના વિદ્યાર્થીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેવો હોય તો પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલ  હોય તેમની ફરેલ પસંદગી રદ ગણાશે. જેથી નવેસરથી કોલેજ પસંદગી ૧૮મીથી ૨૧મી સુધીમાં આપવાની રહેશે. ૨૩મીએ ચોથા રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાશે. ૨૫મી સુધી ઓનલાઈન ફી ભરવાની રહેશે.હાલ સરકારી કોલેજોની ૧૫૩૩૩ બેઠકો ભરાયેલી અને ૫૩૪૮ બેઠકો ખાલી છે.ખાનગી કોલેજોની ૧૪૧૬૩ બેઠકો ભરાયેલી અને ૩૧૮૮૫ બેઠકો ખાલી છે.

 


Google NewsGoogle News