માતાની તબિયત બગડતા મહિલા ખબર કાઢવા ગઇ અને ઘરમાંથી રૃા. ૧.૮૧ લાખની મત્તા ચોરાઇ
મણિનગરમાં ભર બપોરે પાંચ કલાકમાં જ તસ્કરો હાથ સાફ કરી ગયા
રોકડા રૃા. ૩૭,૦૦૦ સહિત સોના-ચાંદીના દાગીને ચોર્યા
અમદાવાદ,શુક્રવાર
પૂર્વ વિસ્તારમાં પોલીસના સબ સલામતના દાવા વચ્ચે ચોર અને લૂંટારુ ટોળકી ધોળા દિવસે લૂંટ અને ચોરીના બનાવને અંજામ આપી રહી છે. મણિનગરમાં સોનાની ત્યાં નોકરી કરતા યુવકના પત્ની પોતાની માતાની ખબર કાઢવા માટે ગઇ હતી જ્યાં ભર બપોરે પાંચ કલાકમાં જ અજાણી વ્યક્તિ મકાનના તાળા તોડીને ઘરમાંથી રોકડા રૃા. ૩૭,૦૦૦ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૃા.૧.૮૧ લાખની ચોરી કરી લઇ ગઇ હતી. આ બનાવ અંગે મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
ચોર ટોળકી તાળું પણ સાથે લઇ ગઇ મકાનમાં તિજોરી તોડીને રોકડા રૃા. ૩૭,૦૦૦ સહિત સોના-ચાંદીના દાગીને ચોર્યા ઃ જાણ ભેદું હોવાની શંકા
મણિનગરમાં રહેતા યુવકે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે તેઓ નોકરી પર ગયા હતા અને તેમની પત્ની બપોરે ૧૨ વાગે ઘરને તાળું મારીને પિયરમાં માતાની તબિયત સારી ન હોવાથી ત્યાં ખબર કાઢવા માટે ગયા હતા. બીજીતરફ તેમની પત્ની સાંજે ૫ વાગે સમયે પરત ઘરે આવ્યા હતા.
ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો તસ્કરો તાળું તોડીને તાળુ લઇને જતા રહ્યા હતા જેથી તેમને ફરિયાદીને ફોન કરીને જાણ કરી હતી જને લઇને તેઓ તુરંત ઘરે પહોચ્યા હતા અને ઘરમાં તપાસ કરતા તિજોરીમાંથી રોકડા રૃા. ૩૭,૦૦૦ અને સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૃા. ૧.૮૧ લાખની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી. આ ઘટના મણિનગર પોલીસે ચોરીનો ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ આઘારે તપાસ આરંભી છે, પોલીસની પ્રાથમિક તપાસમાં કોેઇ જાણભેદુ દ્વારા જ ચોરી કરવામાં આવી હોવાની શંકા સેવાઇ રહી છે.