સ્વામીનારાયણ મંદિર બનાવવાના નામે રૂપિયા૧.૭૬ કરોડની છેતરપિંડી આચરી
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના સાધુઓ વિરૂદ્ધ વધુ એક ગુનો નોંધાયો
અરવલ્લીના બાયડમાં પાંચ કરોડની જમીનનો સોદો કરાવીને ફરિયાદી પાસેથખેડૂતોની મદદથી નાણાં પડાવી લીધાઃ સીઆઇડી ક્રાઇમે ગુનો નોંધી કાર્યવાહી કરી
અમદાવાદ, શનિવાર
વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનું મંદિર બનાવવાનું હોવાના
નામે મળતિયાઓ અને ખેડૂતો સાથે મળીને કરોડો રૂપિયાની જમીન ખરીદી માટે અન્ય વ્યક્તિઓ
પાસે કરોડોની રોકાણ કરાવીને છેતરપિંડી
આચરવાના મામલે વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં અમદાવાદમાં જમીન લે-વેંચનું
કામ કરતા બે વ્યક્તિઓને વિશ્વાસમાં લઇને બાયડના લીંબ ગામમાં સ્વામીનારાયણ ંમંદિર
અને ગૌશાળા બનાવવાના નામે ૧.૭૬ કરોડની માતબર રકમ પડાવવાના મામલે સીઆઇડી ક્રાઇમ
દ્વારા સ્વામીનારાયણ સંપ્રદાયના ચાર સાધુ , ખેડૂત અને મળતિયાઓ સહિત આઠ લોકો વિરૂદ્ધ
ગુનો નોંધવામાં આવ્યો છે.
શહેરના સોલા સાયન્સ સીટી રોડ પર આવેલા સોલીટેયર ડુપ્લેક્સમાં રહેતા ઘનશ્યામસિંહ વાઘેલા તેમના દિલીપભાઇ પટેલ નામના ભાગીદાર સાથે મળીને વટવામાં જમીન-વેચની ઓફિસ ધરાવે છે. ગત ડિસેમ્બર ૨૦૨૩માં તેમની ઓફિસ પર સુરેશ ઘોરી (રહે.સહજાનંદ હાઇટ્સ,યોગી ચોક, સુરત) અને લાલજી ઢોલા (રહે. મણીભદ્ર કોમ્પ્લેક્સ,ગોળદરા પર્વત પાટિયા, સુરત) નામના વ્યક્તિ તેમની ઓફિસ પર આવ્યા હતા. તેમણે ઘનશ્યામસિંહને જણાવ્યું હતું બંને જણા સુરતમાં જમીન-વેંચનું કામ કરે છે. વડતાલ સ્વામીનારાયણ સંસ્થાને પોઇચા જેવુ ભવ્ય મંદિર અને ગૌશાળા બનાવવા માટે ૫૦૦થી ૭૦૦ વિઘા જમીનની જરૂર છે. પરંતુ, સાધુ ખેડૂતો પાસેથી સીધી જમીન ખરીદતા નથી. જેથી જો તમે રોકાણ કરશો તો ફાયદો થશે. આ માટે આણંદના ચિખોદરા ખાતે દેવ પ્રકાશ ઉર્ફે ડીપી સ્વામીની ગૌશાળા પર મળીને ડીલ કરીએ. જેથી ઘનશ્યામભાઇ અને તેમના પાર્ટનર સુરતથી આવેલી બે વ્યક્તિઓ સાથે આણંદ ગયા હતા. જ્યાં તેમની મુલાકાત દેવ પ્રકાશ સ્વામી, માધવપ્રિય સ્વામી, વિજય પ્રકાશ સ્વામી અને જય કૃષ્ણ સ્વામી સાથે થઇ હતી. તેમણે જણાવ્યું હતું તેઓ વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયના નૌતમ સ્વામીના શિષ્ય છે. તેમને બાયડ પાસે આવેલા લીંબ અને માથાસુરિયા ગામમાં મોટું મંદિર ગૌશાળા બનાવવાની છે. જે જમીન તમે ખરીદીને અમને આપશો એટલે દુબઇથી પાંચ કરોડનું દાન આવશે તે તમને આપીને સંસ્થા તમારી પાસેથી જમીન લઇને મંદિર બનાવશે. આ વાતોથી ઘનશ્યામસિંહને વિશ્વાસ આવ્યો હતો અને તેમણે ભુપેન્દ્ર પટેલ (રહે.પીપળજ ગામ,દહેગામ સ ગાંધીનગર) અને વિજયસિંહ ચૌહાણ (લીંબ ગામ, બાયડ) નામના વ્યક્તિઓ પાસેથી જમીન ખરીદી અંગેનો સમજૂતી કરાર કરીને ૧.૧૧ કરોડ રૂપિયા ચુકવી આપ્યા હતા. ત્યારબાદ લાલજી અને સુરેશે કહ્યું હતું કે સમજુતી કરાર બતાવશો એટલે સ્વામી તમને પાંચ કરોડ રૂપિયા રોકડા આપશે. જેની જમીન તમારા નાખે ખરીદી લેજો. આ સમયે મિંટીગ કરતા ડી પી સ્વામી અને વી પી સ્વામીએ ઘનશ્યામસિંહને ૨૧ લાખ રોકડા આપીને અસલી સમજુતી કરારની કોપી લઇ લીધી હતી. આ દરમિયાન ખેડૂતોઓ ઘનશ્યામસિંહ પાસે નાણાંની માંગણી ચાલુ રાખતા તેમણે ૪૦ લાખ રૂપિયા ચુકવી આપ્યા હતા.
બીજી તરફ સ્વામીઓને નાણાં લેવા માટે દુબઇ જવુ પડશે. જેથી ઘનશ્યામસિંહ સ્વામી અને સુરતથી આવેલા બંને દલાલોની દુબઇની ટિકીટ કરી આપી હતી. બે દિવસ બાદ તે પરત આવ્યા હતા અને ૧૩ ફેબુ્રઆરીએ ડીપી સ્વામી, લાલજી અને સુરેશે ઘનશ્યામસિંહને બોલાવીને તેમની મુલાકાત એક મહિલા અને અન્ય બે વ્યક્તિઓ સાથે કરાવી હતી. આ બંને વ્યક્તિ પાંચ કરોડના દાતા હોવા તરીકે ઓળખ આપી હતી. પરંતુ, તે મુસ્લિમ હોવાનું કહેતા ઘનશ્યામસિંહને શંકા ઉપજી હતી. ત્યારે સ્વામીએ કહ્યું હતું કે જમીનના સોદામાં ૨૫૦ વિઘા જમીન પર મંદિર અને બાકીની ૨૫૦ વિઘા જમીન પર લિથેનીયમ બેટરીનો પ્લાન્ટ તૈયાર કરશે. આ દરમિયાન લાલજી અને સુરેેશે કહ્યું હતું કે દાનની રકમ આરબીઆઇ પ્રોસેસથી આવશે. તે પહેલા એક કરોડ ખેડૂતોને આપવાના છે. પરંતુ, ઘનશ્યામસિંહ પાસે વ્યવસ્થા ન હોવાથી તેમણે માત્ર ૨૫ લાખ રૂપિયા આપ્યા હતા. આ દરમિયાન સ્વામીઓની હરકત શંકાસ્પદ જણાતા તેમણે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું હતું વિજયસિંહ ચૌહાણ અને ભુપેન્દ્ર પટેલે કોઇ ખેડૂતો પાસેથી જમીન ખરીદી નથી અને તે માત્ર નાણાં પડાવવા માટે સાધુ સાથેની ગેંગમાં કામ કરતા હતા. બીજી તરફ ઘનશ્યામસિંહને જાણવા મળ્યું હતું કે આ ગેંગ દ્વારા ગુજરાતમાં આણંદ, વિરમગામ, અમદાવાદ, નડિયાદ અને સુરત સહિતના વિસ્તારોમાં ગુનો આચરવામાં આવ્યા હતા. જેના આધારે તેમણે સીઆઇડી ક્રાઇમનો સંપર્ક કરીને ગુનો નોંધાવતા પોલીસે વડતાલ સ્વામીનારાયણ સંસ્થાના ચાર સાધુ સહિત આઠ લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરી છે.