ધંધામાં રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપી ૧.૭૫ કરોડની પડાવી લીધા

બીએપીએસના સત્સંગીએ જ અન્ય એક સત્સંગીને આબાદ છેતર્યો

ભોગ બનનાર વ્યક્તિએ નાણાં એકઠા કરવા પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન અને મકાન સહિતની વસ્તુ વેચી દીધીઃ ક્રાઇમબ્રાંચે ગુનો નોંધીને કાર્યવાહી કરી

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
ધંધામાં રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપી ૧.૭૫ કરોડની પડાવી લીધા 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદમાં નારણપુરામાં રહેતા અને દરજી કામનો વ્યવસાય કરતા વ્યક્તિને તેમના બીએપીએસ સાથે જોડાયેલા ગઠિયાઓએ રોકાણની સામે ઉંચા વળતરની લાલચ આપીને રૂપિયા ૧.૭૫ કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચના આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધવામાં આવી છે.  દરજી કામનો વ્યવસાય કરનાર વ્યક્તિએ ઉંચા વળતરની લાલચમાં આવીને અનેક પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન અને મકાન તેમજ દાગીના પણ વેચી દીધા હતા.  આ અંગે પોલીસે અમદાવાદ અને સુરતમાં રહેતા છ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. શહેરના નારણપુરા ઉદય એપાર્ટમેન્ટમાં રહેતા ભાવેશભાઇ દરજી  ટ્રેડિશનલ ડ્રેસ બનાવવાનો વ્યવસાય કરે છે. તેઓ બીએપીએસના સત્સંગી હોવાની સાથે  નારણપુરા-ઘાટલોડિયા મંદિરના મંડળ સંચાલક તરીકે પણ સેવા આપે છે. તેમની સાથે સત્સંગમાં જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે  આણંદમાં એક મકાન પાંચ લાખમાં વેચાણમાં આવ્યું છે. ભાવેશભાઇ તેમના પરિવાર સાથે મહંત સ્વામીના દર્શન કરવા માટે  આણંદ જતા હોવાથી તેમણે ત્યાં ઉતારો મળી રહે તે હેતુથી દિપેશ મકવાણા (રહે.સર્વોત્તમનગર, મેમનગર ફાયર સ્ટેશનની સામેનવરંગપુરા) અને ધુ્રવિલ  દેસાઇને મળ્યા હતા. તે પછી મકાનની ખરીદી પેટે પાંચ લાખ રૂપિયા દિપેશને ચુકવી આપ્યા હતા. પરંતુ, દિપેશે  કહ્યું હતું કે મકાન હાલ સસરાના નામનું છે. બાકીના અન્ય નામ સાત બારમાં આવી જાય પછી દસ્તાવેજ બનાવી આપશે. એક સપ્તાહ બાદ પારિવારિક કાર્યક્રમમાં મળ્યા ત્યારે દિપેશે જણાવ્યું હતું કે તે ડ્રાયફ્રુટ પ્રોસેસીંગ અને કપડાનો વ્યવસાય કરે છે. જેમાં તેમના પરિવારના સભ્યો મદદ કરે છે. જેમાં રોકાણ કરવાથી સારૂ વળતર મળશે. જેથી ફરીથી વિશ્વાસ કરીને ભાવેશભાઇઅ અલગ અલગ ફાઇનાન્સ કંપનીઓમાંથી પર્સનલ અને ગોલ્ડ લોન, સસરા પાસેથી તેમજ મકાન વેચાણ કરીને કુલ ૧.૦૬ કરોડનું રોકાણ કર્યું હતું.  તે પછી ધંધામાં વધુ નાણાંની જરૂર પડે તેમ હોવાનું કહીને ભાવેશભાઇ પાસે રહેલા વિવિધ બેંકના ક્રેડીટ કાર્ડ  ધંધાકીય હેતુ માટે લીધા હતા. જેના દ્વારા ૧૫ લાખ રૂપિયાની લોન લઇ લીધી હતી. એટલું જ ફસાયેલા નાણાં પરત લેવા માટે વધુ રોકાણની વાત કરતા ભાવેશભાઇએ  સોલા રોડ પર આવેલા મકાનના કાગળો પણ આપ્યા હતા. આ દરમિયાન  દિપેશે ટીમ મોદી  સપોર્ટર સંઘના પ્રમુખ પ્રવિણભાઇ અને પ્રદેશ મહામંત્રીએ સુરતના સારો હોદો આપ્યાનો લેટર પેડ બતાવ્યો હતો. તે પછી કસ્ટમમાંથી ૪૦ લાખનો ડ્રાયફ્રુટનો માલ છોડાવવા માટેનું કહીને નાણાં થોડા જ દિવસમાં પરત આપવાનું કહીને ૪૧ લાખ રૂપિયા લીધા હતા. આમ કુલ ૧.૭૫ કરોડ જેટલી રકમનું રોકાણ કરાવીને થોડા જ મહિનામાં વળતર સાથે પરત કરવાનું કહ્યું હતું.  પરંતુ, મહિનાઓ સુધી વાયદા કરીને નાણાં પરત આપ્યા નહોતા. જેથી આ અંગે ક્રાઇમબ્રાંચમાં દિપેશ મકવાણા, તેની પત્ની નિકેતા,ધવલ મકવાણા, સહિત કુલ છ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.


Google NewsGoogle News