Get The App

આયુર્વેદ થેરપીમાં હવે જળોની મદદથી મટી રહેલો સાઈનસ

- આંખથી દૂર નાક પર લીચ-જળો મૂકવામાં આવતી જળો વિષારી તત્વોનો શોષી લે છે

- લીચ-જળોની સારવાર લેવાથી સાઈનસની સમસ્યાના લાંબા ગાળાના ઉકેલ મળવા ઉપરાંત નસકોરાં ખુલી જવા અને ગંધ પારખવાની પાછી મળતી શક્તિ

Updated: Jan 28th, 2019

GS TEAM

Google News
Google News
આયુર્વેદ થેરપીમાં હવે જળોની મદદથી મટી રહેલો સાઈનસ 1 - image

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.28 જાન્યુઆરી, 2019, સોમવાર

લીચ થેરપી એટલે કે પાણીમાં જોવા મળતી જળોની સારવાર લેવાથી સાઈનસી સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ મળવા માંડયો છે. તેનાથી ગંધ પારખવાની શક્તિ પાછી આવી હોવાનું અને બે ત્રણ સિટિંગ પછી નાકના નસકોરાં મહિનાઓ સુધી ચોકઅપ ન થતાં હોવાનું જોવા મળી રહ્યું છે. લીચ થેરપીમાં બંને નસકોરાંની બહારની તરફ આંખથી થોડે દૂર નસકોરાંની બહાર જળો લગાડવામાં આવે છે.

આ જળો નાકના અવયવોમાં ફરતાં રક્તમાંના ટોક્સિક (વિષારી તત્વો) શોષી લે છે અને તેની લાળમાંના એન્ટિબાયોટિક્સ એટલેકે પ્રોબાયોટિક્સ ઇન્જેક્ટ કરે છે. તેનાથી સાઈનસનો સહેલાઈથી ઉપચાર થાય છે. હોલીવુડની એક્સ્ટ્રેસ ડેમી મૂર પણ મોઢાની સુન્દરતા માટે તેની સારવાર લેતી હોવાનું જાણવા મળી રહ્યું છે. મોઢાં પર થતાં ખીલની સમસ્યા પણ તેનાથી હળવી થતી હોવાનું જોવા મળે છે.

આયુર્વેદના વૈદ્યનું કહેવું છે કે શિયાળામાં સાઈનસની તકલીફ અનેક લોકોના નસકોરાં ચોક અપ કરી દે છે. પરિણામે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. નાકના ચોક અપ થઈ જતાં નસકોરાં ખોલવા માટે આજકાલ એલોપથીની દવાના ટીપાં નાકમાં નાખવામાં આવે છે.

આ રીતે ટીપ નાકમાં નાખ્યા પછી ટૂંકા સમયગાળામાં જ એટલે કે બે ત્રણ કલાકમાં નસકોરાં પાછા ચોક અપ થઈ જાય છે. સાઈનસના કેટલાંક દરદીઓ તો રીતસર ગુંગળામણ અનુભવતા હોય તેવી સ્થિતિ નિર્માણ થાય છે.

સાઈનસની તકલીફનો ભોગ બનેલી દિક્ષિતા ઠક્કર કહે છે કે રનિંગ નોઝની તકલીફ તેમાં થાય છે. તેની સાથે જ નાક સાવ જ ચોકઅપ થઈ થઈ જતાં મોઢાથી શ્વાસ લેવાની ફરજ પડે છે. તેની સાથે માથાનો દુ:ખાવો પણ થાય જ છે. કોઈપણ ગંધ પારખી શકાતી નથી.

લીચ થેરપીના પોતાના અનુભવનું બયાન કરતાં દિક્ષિતા કહે છે કે મેં આ સમસ્યાથી કંટાળીને લીચ-જળોની સારવાર લેવાનું નક્કી કર્યું. પહેલીવાર લીચ થેરપીનો આશરો લીધો અને મને ચમત્કારિક પરિણામ મળ્યું.

બીજા દિવસે સવારે મારાં નાકનાં નસકોરાં સાવ જ ખૂલી ગયા હતા. મને લાંબા સમય પછી ગંધનો અહેસાસ થવા માંડયો હતો. તેમ છતાંય મેં બીજા એક બે સિટીંગ લેવાનુ પસંદ કર્યું હતું. આજે લાંબા સયમથી મને આ તકલીફમાંથી છૂટકારો મળી ગયો છે.

સાઈનસની સમસ્યાથી વરસોથી પીડાતા કનુભાઈ જાનીનો અનુભવ પણ કંઈક આવો જ છે. માથાના દુ:ખાવા, નાક ચોક અપ થઈ જવું અને ગૂંગળામણ થવા ઉપરાંત તેમને નાક ચોક અપ થતાં રાત્રે ઉંઘ પણ આવતી નહોતી. તેમણે તો ઇએનટી - આંખ, નાક અને ગળાના સ્પેશિયાલિસ્ટ પાસે બે બે ઓપરેશન કરાવ્યા હતા. તેમ છતાંય તેમની તકલીફ દૂર થવાનું નામ લેતી નહોતી.

ઓપરેશન કરાવ્યા પછીય બે બે કલાકે નાકમાં ટીપાં તો નાખવા જ પડતા હતા. છેવટે તેમણે આયુર્વેદના નિષ્ણાતનો સંપર્ક કર્યા. તેમને પણ લીચ થેરપી લેવાની સલાહ આપવામાં આવી. એક જ વાર લીચ થેરપી લીધા પછી તેમની તકલીફ દૂર થઈ હતી. તેમ છતાંય સલામતી ખાતર તેમણે બીજી બે ત્રણ સિટિંગ લીધી હતી. આજે બે વરસે તેમને સાઈનસની તકલીફ થતી નથી.