ક્રિપ્ટોમાં રોકાણ કરવા જતા સિનિયર સિટીઝને રૂપિયા ૧.૩૪ કરોડ ગુમાવ્યા

શહેરના શેલામાં રહેતા નિવૃત અધિકારી સાથે છેતરપિંડી

શેરબજાર ક્રેશ થતા ગઠિયાઓએ ક્રિપ્ટોમાં રોકાણ કરવાનું કહીને રૂપિયા ૧.૩૪ કરોડના રોકાણ સામે ૪૧ કરોડનો માતબર નફો દર્શાવ્યો હતો

Updated: Jun 12th, 2024


Google NewsGoogle News
ક્રિપ્ટોમાં રોકાણ કરવા જતા સિનિયર સિટીઝને રૂપિયા ૧.૩૪ કરોડ ગુમાવ્યા 1 - image

અમદાવાદ, બુધવાર

શહેરના  શેલા વિસ્તારમાં રહેતા નિવૃત સિનિયર સિટીઝનને શેર બજારમાં ટીપ્સ આપવાની કહી ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા વિશ્વાસ જીતવામાં આવ્યો હતો. જો કે માર્ચ ૨૦૨૪માં શેરબજાર ક્રેશ થતા નુકશાન થયું હતું. જેથી ગઠિયાઓએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને નફો અપાવવાની ખાતરી આપીને રૂપિયા ૧.૩૪ કરોડ જેટલી રકમનું રોકાણ કરાવ્યું હતું. આ રોકાણની સામે વોલેટમાં ૪૧ કરોડની બનાવટી વેલ્યુ બતાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે અમદાવાદ સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. શેલામાં  એપલવુડ ટાઉનશીપમાં રહેતા ૬૮ વર્ષીય નંદભાઇ બોગોટ પરિવાર સાથે રહીને નિવૃત જીવન ગુજારે છે. ગત જાન્યુઆરી મહિનામાં તેમને ફેસબુક  પર શેર બજારની ટીપ્સ આપવા માટેની જાહેરાત જોઇ હતી. જેમાં દર્શાવેલા નંબર પર કોલ કરતા તેમને વોટ્સએપના એક ગુ્રપમાં એડ કરવામાં આવ્યા હતા. જેમાં શેરબજારમાં રોકાણને લગતી વિવિધ ટીપ્સ આપવામાં આવતી હતી. આ ટીપ્સ મુજબ શેર ખરીદવાથી નંદભાઇને ફાયદો થયો હતો. જેથી તેમને વિશ્વાસ વધ્યો હતો. પરંતુ, માર્ચ-૨૦૨૪ શેરબજારમાં મોટો કડાકો આવતા તેમને રોકાણ પર નુકશાન થયું હતું. આ સમયે ગુ્રપના એડમીન રાહુલ શર્માએ તેમને હાલની સ્થિતિને જોતા શેરબજારને બદલે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવા માટે સલાહ આપી હતી. જેથી વિશ્વાસ કરીને નંદભાઇએ એક વેબસાઇટમાં લોગઇન કરીને આઇડી ખોલાવ્યું હતું. ત્યારબાદ ક્રિપ્ટો ટ્રેડીંગની ટીપ્સના આધારે  તે ઓનલાઇન નાણાં જમા કરાવતા હતા. બે મહિનામાં તેમણે કુલ ૧.૩૪ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.  જેની સામે  ક્રિપ્ટોની વેલ્યું ૪૧ કરોડ  દર્શાવતા હતા.  નંદભાઇને રોકાણ માટે નાણાંની જરૂરિયાત હોવાથી ૪૧ કરોડ ઉપાડવા માટે એપ્લીકેશન કરી હતી. પંરતુ, આ નફો  પરત લેવાના બદલામાં ટેક્સ પેટે બે કરોડ રૂપિયા માંગવામાં આવ્યા હતા. જેથી નંદભાઇને શંકા ઉપજી હતી.  જેના આધારે  તેમણે સાયબર ક્રાઇમમાં છ લોકો વિરૂદ્વ ફરિયાદ નોંધાવતા તપાસ શરૂ કરવામાં આવી છે.


Google NewsGoogle News