ખોટા પુરાવાના આધારે નામ બદલીને રહેતો આરોપી ૨૬ વર્ષ બાદ ઝડપાયો

પોલીસે આઠ મહિનાની બાદ સતત વોચ ગોઠવીને સફળતા મેળવી

આરોપી નવસારીના લૂંટ વીથ ફાયરીંગના ગુનામાં ૧૯૯૯થી ફરાર હતો ઃ નામ બદલીને મધ્યપ્રદેશના ખંડવામાં વેપારી તરીકે મોટી ઓળખ ઉભી કરી હતી

Updated: Jan 19th, 2024


Google NewsGoogle News
ખોટા પુરાવાના  આધારે નામ બદલીને  રહેતો આરોપી ૨૬ વર્ષ બાદ ઝડપાયો 1 - image

અમદાવાદ,શુક્રવાર

નવસારીમાં ૨૬ વર્ષ પહેલા નોંધાયેલા લૂંટ વીથ ફાયરીંગના ગુનામાં વોન્ટેડ  આરોપીને આરોપીને અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમ દ્વારા મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના હરસુદ તાલુકાના એક ગામ પાસેથી ઝડપી લીધો હતો.  પોલીસ જાપ્તામાંથી ફરાર થઇ ગયા બાદ આરોપીએ બનાવટી દસ્તાવેજના આધારે નામ બદલીને ખંડવામાં પોતાની વેપારી તરીકે ઓળખ ઉભી કરીને રહેતો અને સામાજીક રીતે માનમોભો પણ ધરાવતો હતો અને તેણે ખંડવામાં  જ લગ્ન કરીને નવુ જીવન શરૂ કર્યું હતું. આરોપીને પકડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમના અધિકારીઓએ સતત આઠ મહિનાના મહેનત બાદ સમગ્ર ઓપરેશન પાર પાડયું હતું. ગુજરાતના વિવિધ શહેરોના પોલીસ સ્ટેશનમાંથી નોંધાયેલા ગુનામાં વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ દ્વારા વિશેષ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ ક્રાઇમબ્રાંચના પોલીસ ઇન્સ્પેક્ટર પી કે ગોહિલ અને તેમની ટીમને નવસારીમાં વર્ષ ૧૯૯૯માં નોંધાયેલા લૂંટ વીથ ફાયરીંગના કેેસમાં ફરાર  આરોપી મોતીલાલ જાદવને અંગેની માહિતી  મેળવવા માટે સુચના આપવામાં આવી હતી. જેના આધારે  આજથી આઠ મહિના પહેલા પીએસઆઇ  કે એસ સિસોદીયા તેમજ અન્ય સ્ટાફ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં મોતીલાલ જાદવના  મહારાષ્ટ્રના ધુલિયા પાસે આવેલા ઘરે તપાસ કરતા કોઇ કડી મળી નહોતી અને એવી વિગતો જાણવા મળી હતી કે  તે  વર્ષોથી પરિવાર સાથે સંપર્કમાં નથી.  જે બાદ પોલીસે  ટેકનીકલ સર્વલન્સ અને બાતમીદારોને કામે લગાવ્યા હતા. જેમાં  મોતીલાલ જાદવ  હાલ મધ્યપ્રદેશના ખંડવા જિલ્લાના  હરસુદ તાલુકાના  છનેરા ગામમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.  જો કે ૨૬ વર્ષ બાદ તેનો દેખાવ બદલાઇ ગયો હોવાથી તેની માહિતી એકત્ર કરવી પોલીસ માટે જટીલ બન્યુ ંહતું. છેવટે  પોલીસે અલગ અલગ ટીમ બનાવીને છનેરામાં તપાસ શરૂ કરવામાં આવી હતી.   જે દરમિયાન માહિતી મળી હતી કે મોતીલાલ જાવદે તેનું નામ ડૉ. અજય પટેલ રાખ્યું હતુ અને તે ગામમાં તમજ સમાજમાં મોટી છાપ ધરાવતો હતો.   આ માહિતીને આધારે અંતે પોલીસે પાકી ઓળખ કરીને તેને ઝડપી લીધો હતો. હાલ તેના પરિવારમાં બે સંતાનો  અને પત્ની પણ છે. તેમને મોતીલાલે જણાવ્યું હતું કે મારા પરિવારજનો હાલ હયાત નથી. આમ, તે પોલીસથી બચતો ફરતો હતો.  તે  જ્યારે પોલીસ જાપ્તામાંથી ફરાર થયો ત્યારે તેની ઉમર ૨૨ વર્ષની હતી અને હાલ તે ૪૮ વર્ષનો હતો.  તે સમાજમાં એક મોટા અગ્રણીની છાપ ધરાવતોહોવાથી  હવે તેને પોલીસ પકડી નહી શકે તેમ માનીને રહેતો હતો.  આ અંગે ડીસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું કે મોતીલાલ પોલીસ જાપ્તામાંથી ફરાર થયા બાદ અલગ અલગ સ્થળે નાસતો ફરતો હતો અને  ૨૦ વર્ષથી તે ખંડવામાં રહેતો હતો. તેણે પોલીસથી બચવા માટે બનાવટી દસ્તાવેજોને આધારે પોતાનું નામ બદલ્યું હતું અને પોલીસથી બચવા માટે તેણે  પોતાના પરિવારજનો સાથે પણ સંપર્ક તોડી નાખ્યો હતો. જો કે તેના ભાઇએ તેને ઓળખી બતાવ્યો હતો.  તેના વિરૂદ્વ બનાવટી દસ્તાવેજો તૈયાર કરવાનોે કેસ પણ નોંધવામાં આવશે.


Google NewsGoogle News