ભોપાલથી ટ્રાવેલ્સમાં અમદાવાદ લવાયેલા ૧૨૪ પહાડી પોપટનો રેસક્યુ કરાયા
તમામ પોપટ ૧૪ કલાક સુધી દાણા-પાણી વિના જ રહ્યા
સર્વધર્મ રક્ષક સેવા સંસ્થા અને વાઇલ્ડ ક્રાઇમ કંટ્રોલ બ્યુરો મુંબઇનું વિશાલા સર્કલ પાસે સંયુક્ત ઓપરેશનઃ પોપટ મંગાવનાર મહિલાને ઝડપી લેવાઇ
અમદાવાદ,શનિવાર
અમદાવાદમાં પ્રાણી અને પક્ષીઓ માટે સેવાકીય કામગીરી કરતી સંસ્થા અને મુંબઇ સ્થિત વાઇલ્ડ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ શનિવારે સવારે વિશાલા સર્કલ પાસે ભોપાલથી આવેલી એક ખાનગી ટવેલ્સમાં દયનીય હાલતમાં લાવવામાં આવેલા ૧૨૪ જેટલા પહાડી પોપટને છોડાવીને એક મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી છે. ્ છોડાવવામાં આવેલા પોપટની ડીલેવરી લેવા આવેલી મહિલા અગાઉ ચાર વખત પોપટની તસ્કરી કરવા બદલ ઝડપાઇ ચુકી છે. ત્યારે આ કેસની તપાસમાં ભોપાલથી પોપટ અને અન્ય પક્ષીઓની તસ્કરીનો પર્દાફાશ થવાની શક્યતા છે.
અમદાવાદમાં આવેલી સર્વધર્મ સેવા ટ્રસ્ટના જાસ્મીન શાહને ચોક્કસ
બાતમી મળી હતી કે ભોપાલથી એક ખાનગી ટ્રાવેલ્સમાં મોટાપાયે પોપટની તસ્કરો કરવામાં આવી
રહી છે અને તેની ડીલેવરી લેવા માટે વિશાલા સર્કલ પાસે એક મહિલા આવવાની છે. જેના આધારે સેવા ટ્રસ્ટ અને મુંબઇ સ્થિત વાઇલ્ડ ક્રાઇમ કંટ્રોલ
બ્યુરોના અધિકારીઓએ શનિવારે સવારે વિશાલા સર્કલ
પાસે ભોપાલથી આવેલી એક બસમાંથી પાર્સલની ડીલેવરી લઇ રહેલી સવીતા દંતાણી (રહે. વટવા)
નામની મહિલાને ઝડપી લીધી હતી અને પીંજરાને લગાવેલી લીલી જાળીને હટાવીને જોતા પીંજરામાંથી
કુલ ૧૨૪ જેટલા પોપટ મળી આવ્યા હતા. જેને એક અમાનવીય રીતે રાખવામાં આવ્યા હતા. તે પછી આ અંગે ફોરેસ્ટ વિભાગમાં જાણ કરવામાં આવતા
મહિલા સામે વાઇલ્ડ લાઇફ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરીને તમામ પોપટને
સલામત રીતે ફોરેસ્ટ વિભાગને સોંપાયા હતા.આ અંગેની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે સવીતા દંતાણી
અગાઉ ચાર વાર પોપટની તસ્કરીમાં ઝડપાઇ ચુકી છે. તે ભોપાલની ગેંગ પાસેથી એક પોપટના ૩૦૦
રૂપિયા આપીને મંગાવતી હતી . જે બાદ વેપારીને તે પોપટને ૫૦૦થી ૬૦૦ રૂપિયામાં વેચાણથી
આપતી હતી અને ત્યારબાદ તેને સ્થાનિક બજારમાં એકથી દોઢ હજારના ભાવથી વેચાણ કરવામાં આવતા
હતા.
સેવા ટ્રસ્ટના સંચાલકોએ
ગુજરાતના વન વિભાગના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે પક્ષીઓને રેસક્યુ કરવાથી
માંડીને તસ્કરી કરતી ગેંગ સામે કાર્યવાહી કરવામાં
વન વિભાગની ભૂમિકા શંકાસ્પદ રહી છે. ખાસ કરીને જે મહિલા ઝડપાઇ છે તે અગાઉ ઝડપાઇ
ચુકી હોવા છંતાય, તેની સામે
આકરી કાર્યવાહી કરવામાં ન આવતા તે સતત પક્ષીઓની તસ્કરી કરી રહી છે. આ પ્રકારથી અમદાવાદમાં
હજારો પક્ષીઓની તસ્કરી કરવામાં આવે છે. તેમ છંતાય
વન વિભાગની કામગીરી સંતોષકારક રીતે કરવામાં આવતી નથી. જેના કારણે અબોલ પ્રાણી
અને પક્ષીઓના જીવ જોખમમાં મુકાઇ છે. જ્યારે આ અંગે વાઇલ્ડ ક્રાઇમ કંટ્રોલ બ્યુરોએ પણ
ગંભીર નોંધ લઇને વન વિભાગ ગાંધીનગર ખાતે તેમજ
દિલ્હી ખાતે રિપોર્ટ કર્યો છે.ભોપાલથી લાવવામાં આવેલા પોપટના પાંજરાને ગ્રીન નેટથી કવર કરીને
બસના પાર્સલ ટ્રેમાં અવ્યસ્થિત રીતે મુકાયા હતા અને તેમને સતત ૧૪ કલાકથી ભુખ્યા તરસ્યા
લાવવામાં આવ્યા હતા.