સેન્ટ્રલ અમેરિકામાં અરાઇવલ વિઝા બંધ થતા નિકારાગુઆનો રૂટ શરૂ કરાયો

ગેરકાયદેસર જતા લોકોને ખર્ચ માટે પ્રતિવ્યક્તિ ૩૦૦૦ ડોલર આપ્યા હતા

એજન્ટોએ ફ્લાઇટ મુંબઇ એરપોર્ટ આવતા તમામ પેસેન્જરોના મોબાઇલમાંથી વોટ્સએપમાંથી તમામ ડેટા ડીલીટ કરાવી દીધાનો ફરિયાદમાં ખુલાસો

Updated: Jan 15th, 2024


Google NewsGoogle News
સેન્ટ્રલ અમેરિકામાં અરાઇવલ વિઝા  બંધ થતા નિકારાગુઆનો  રૂટ શરૂ કરાયો 1 - image

અમદાવાદ,સોમવાર

દેશમાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જતા ફ્રાન્સમાંથી ઝડપાઇ ગયેલા ૬૬ ગુજરાતીઓ સહિત ૨૭૬ ભારતીયોના નિવેદનમાં તપાસ કરતી એજન્સીઓને અનેક વિગતો જાણવા મળી છે. જેમાં ગુજરાતના પેસેન્જરોની તપાસ કરી રહેલી  સીઆઇડી ક્રાઇમના અધિકારીઓને જાણવા  મળ્યું હતું કે એજન્ટોએ પોલીસથી બચવા માટે જ્યારે વિમાન મુંબઇ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે એજન્ટોએ તમામ પેસેન્જરોને પોલીસ કેસમાં ફસાઇ જવાનો ડર બતાવીને વોટ્સએપમાંથી  કબુતરબાજીને લગતી તમામ ચેટ ડીલીટ કરાવી દીધી હતી. જે ડેટા રીકવર કરવા માટે તમામ મોબાઇલ ફોન જપ્ત કરીને ફોરેન્સીક એક્સપર્ટની મદદ લેવામાં આવી રહી છે. એજન્ટો પેસેન્જરોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા અગાઉ સેન્ટ્રલ અમેરિકાનો રૂટ પંસદ કરતા હતા. પરંતુ, સેન્ટ્રલ અમેરિકામાં વિઝા ઓન અરાઇવલ સુવિદ્યા બંધ કરવામાં આવતા એજન્ટોએ નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો.ગુજરાતમાંથી ૬૬ લોકો સહિત પંજાબ તેમજ અન્ય રાજ્યોના મળીને  કુલ ૨૭૬ મુૂસાફરોને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પરથી લિજેન્ડ એરલાઇનની ફ્લાઇટમાં ઝડપી લીધા હતા. જે બાદ તમામને ડીપોર્ટ કરીને મુંબઇ એરપોર્ટ લાવવામાં આવ્યા હતા. આ ૨૭૬ મુસાફરોમાંથી ૬૬ મુસાફરો ગુજરાતીઓ હતા અને તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવા માટે એજન્ટોના નેટવર્કની તપાસ સીઆઇડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી રહી છે. જે સંદર્ભમાં ફરિયાદ દાખલ થઇ તે પહેલા પોલીસે તમામ ૬૬ મુસાફરો પાસેથી મોબાઇલ ફોન અને ગેટેઝ્સ જપ્ત કર્યા હતા. જો કે તેમના નિવેદનમાં જાણવા મળ્યું હતું કે ગત ૨૫મી ડિસેમ્બરના રોજ ફ્લાઇટ મુંબઇ પહોંચી ત્યારે એજન્ટોએ તમામનો સંપર્ક કરીને તમામના મોબાઇલ ફોનમાંથી વોટ્સ એપ ચેટ , એર ટિકીટ, હોટલ બુકિંગ સહિતની તમામ માહિતી ડીલીટ કરાવી હતી.  જે ડેટા રીકવર કરવા માટે પોલીસે તમામ મોબાઇલ ફોન અને ગેટેઝ્ટસ જમા લીધા છે અને તપાસ માટે  એફએસએલમાં આપ્યા છે.

આ સાથે કેટલાંક મુસાફરોના નિવેદનોમાં એવી પણ વિગતો ખુલી હતી કે  અગાઉ પંજાબ અને ગુજરાતમાંથી મોટાપાયે લોકોને ઉઝબેકિસ્તાન, યુરોપ,અલસેલડોર તેમજ સેન્ટ્રલ અમેરિકાના દેશોમાંથી મેક્સિકો મોકલવામાં આવતા હતા. આ તમામ દેશોમાં વિઝા ઓન અરાઇલની સુવિદ્યા હોવાને કારણે  તમામને લઇ જવામાં સરળતા રહેતી હતી. પરંતુ, આ દેશોના રૂટનો ઉપયોગ કરીને મોટાપાયે કબુતરબાજી થતી હોવાને કારણે  વિઝા ઓન અરાઇવલની સુવિદ્યા બંધ કરવામાં આવી હતી. જેથી  એજન્ટોએ ભારતીયોને મેક્સિકો મોકલવા માટે નિકારાગુઆનો રૂટ શરૂ કર્યો હતો. જ્યાંથી મેક્સિકો -અમેરિકા બોર્ડર પર આવેલી ટ્રમ્પ વોલ સુધી પહોંચવા માટે કારમાં ૩૨૦૦ કિલોમીટરનો રૂટ કાપીને જવાનું હોય છે.  આ સાથે તમામ મુસાફરોને નિકારાગુઆથી મેક્સિકો જવા સુધીનો ખર્ચ કરવા માટે ૩૦૦૦ ડોલર સુધીનો પણ આપવામાં આવ્યા હતા. આમ, સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ નિવેદનો લઇને અનેક મહત્વના પુરાવા મેળવ્યા છે. જે સમગ્ર નેટવર્કના મુળ સુધી પહોંચવામાં કામ લાગશે.


Google NewsGoogle News