જામનગરમાં અંબર સિનેમા રોડ પર ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર સરાજાહેર હુમલો કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો

Updated: Mar 19th, 2024


Google NewsGoogle News
જામનગરમાં અંબર સિનેમા રોડ પર ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પર સરાજાહેર હુમલો કરનાર ત્રણ શખ્સો સામે ગુનો નોંધાયો 1 - image

image : Freepik

જામનગર,તા.19 માર્ચ 2024,મંગળવાર

જામનગરમાં અંબર સિનેમા રોડ પર ગઈકાલે મોડી સાંજે ટ્રાન્સપોર્ટ ના ધંધાથી પર ટ્રકની એન.ઓ.સી. બાબતે તકરાર કરી ત્રણ શખ્સોએ સરા જાહેર હુમલો કર્યો હતો, અને તેનો વિડીયો શહેરભરમાં વાયરલ થયો હતો. જે હુમલો કરનાર ત્રણેય શખ્સો સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે, જયારે ટ્રાન્સપોર્ટરને હાથ પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા થઈ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં અંબર સિનેમા રોડ પર મીઠાપુર થી આવેલા ટ્રાન્સપોર્ટ ના ધંધાર્થી સાગરભાઇ ધીરજભાઈ ભાયાણી (ઉમર વર્ષ 32) પર  લોખંડના પાઇપ અને ધોકા  વડે જાહેરમાં હુમલો કરી દેવાયો હતો, અને ત્રણ શખ્સોએ આડેધડ માર મારી હાથ પગ ભાંગી નાખ્યા હતા, અને લોહી લૂહાણ કરી નાખ્યા હતા.

 જેથી ટ્રાન્સપોર્ટરને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ હતી, અને તેને હાથ અને પગમાં ફેક્ચર સહિતની ઈજા થઈ હોવાથી સર્જરી કરવામાં આવી છે.

 ઉપરોક્ત હુમલા ના બનાવનો કોઈ વ્યક્તિએ પોતાના મોબાઈલ ફોનમાં વિડીયો બનાવી લીધો હતો, જે ગઈકાલે રાત્રે શહેરભરમાં વાયરલ થયો હતો.

 આ હુમલાના બનાવની જાણ થતાં સિટી બી. ડિવિઝન પોલીસે ઘટના સ્થળે, તેમજ જી.જી. હોસ્પિટલે પહોંચી જઈ  ટ્રાન્સપોર્ટના ધંધાર્થી સાગર ધીરજભાઈ ભાયાણીની ફરિયાદના આધારે જામનગરના ત્રણ હુમલાખોરો જયરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ અને સુખદેવસિંહ સામે ફરીયાદ નોંધા છે.

 જે ત્રણેય આરોપીઓ હાલ ભાગી છૂટયા હોવાથી પોલીસ તેઓને શોધી રહી છે. 

ફરિયાદી અને આરોપીઓ વચ્ચે ટ્રક ની લેતી દેતીનો વ્યવહાર હતો, અને એક ટ્રકની એનઓસી બાબતે બંને વચ્ચે તકરાર ચાલતી હતી, જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News