અમદાવાદમાં રૂપલલનાઓ પાસે પ્રોટેક્શન મની માંગતા લુખ્ખાઓનો વિરોધ કર્યો તો યુવકની હત્યા કરી નાંખી
ક્રાઈમ બ્રાંચે એપ્રિલમાં મળેલી લાશનો પીએમ રીપોર્ટ આવતાં જ ત્રણ આરોપીઓને દબોચી લીધા હજી બે ફરાર
અમદાવાદઃ (ahmedabad) શહેરમાં ગત એપ્રિલ મહિનામાં સનાથલ બ્રિજ નજીકથી મળેલી યુવકની નગ્ન લાશનો ભેદ પોસ્ટમોર્ટમના રીપોર્ટમાં ખુલી જતાં હત્યારાઓને પકડી પાડવામાં આવ્યાં છે. રૂપલલનાઓ પાસે પાંચ શખ્સો પ્રોટેક્શન મની ઉઘરાવતા હતા ત્યારે યુવકે તેમનો વિરોધ કર્યો હતો. (crime branch)જેથી તેની પર હૂમલો કરીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો.(protection money) ક્રાઈમ બ્રાંચે આ કેસમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરીને ફરાર થઈ ગયેલા બે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
એપ્રિલ મહિનામાં યુવકનું મોત થયું હતું
પ્રાપ્ત વિગતો પ્રમાણે મુળ ઉત્તરપ્રદેશના સુરેન્દ્ર કોરીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારો મિત્ર પુરણ નિશાદ દુબઈ ખાતે ઇલેકટ્રીશ્યન તરીકે નોકરી કરે છે. ગત એપ્રિલ મહિનામાં પુરણ નિશાદનો મારા ઉપર ફોન આવ્યો હતો અને મને કહ્યું હતું કે, તેની પત્નીએ ફોન કરીને તેને જણાવ્યું હતું કે, સરખેજ પોલીસ સ્ટેશન ખાતેથી ફોન આવ્યો હતો કે પપ્પુની લાશ મળેલ છે. ત્યાર બાદ હું 15 દિવસની રજા મુકીને અબુધાબીથી અમદાવાદ આવ્યો છું અને સરખેજ પોલીસ સ્ટેશન જઈ રહ્યો છું. હું પણ પુરણ સાથે સરખેજ પોલીસ સ્ટેશન આવ્યો હતો અને સરખેજ પોલીસે અમને જણાવ્યું હતું કે, પપ્પુ નિશાદ સનાથલ બ્રીજ નજીક કાચા રસ્તા ઉપર નગ્ન હાલતમાં શરીરે મુઢ ઇજાઓ થયેલ હાલતમાં મળી આવેલ છે. તેની લાશ ઉપર જરુરી કાર્યવાહી કરી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને લાશને વીએસ હોસ્પીટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે.
રુપલનનાઓના પક્ષમાં લુખ્ખા તત્વોનો વિરોધ કર્યો
ત્યાર બાદ પુરણે તેના ભાઇ પપ્પુની અમદાવાદમાં જ અંતીમ વીધી કરી હતી અને પપ્પુની લાશનો પીએમ રીપોર્ટ આવેલ નહીં હોવાથી જે તે વખતે મોતનું ચોક્કસ કારણ જણાયું નહોતું. ગઈકાલે પપ્પુનો પી.એમ. રીપોર્ટ આવ્યો હતો. જેમાં પપ્પુનું મોત માર મારવાથી થયું હોવાનું સામે આવ્યુ હતું. સુરેન્દ્રએ ગઇકાલે પપ્પુના મોત મામલે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી દીધી હતી. જ્યારે બીજી બાજુમાં ક્રાઇમ બ્રાંચે તેની હત્યાનો ભેદ ઉકેલી દીધો હતો. ક્રાઇમ બ્રાંચે પપ્પુની હત્યા કેસમાં 3 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સૌથી મોટો ખુલાસો થયો છે. સનાથલ બ્રિજ પાસે દેહવેપાર ચાલી રહ્યો છે. જેમાં કેટલાક લુખ્ખા તત્વો રુપલલના પાસે પ્રોટેક્શન મનીની આડમાં હપ્તો લઇ રહ્યા હતા. પપ્પુએ રુપલનનાઓના પક્ષમાં રહીને લુખ્ખા તત્વોનો વિરોધ કર્યો હતો. વિરોધ કરતા પાંચ આરોપીઓએ પપ્પુને મારતાં તેનું મોત નિપજ્યું હતું.