સાબરમતી પર બનશે 1 કિ.મી. લાંબો સિક્સલેન બ્રિજ, 367 કરોડનો થશે ખર્ચો, જાણો તેની વિશેષતા
બ્રિજની બંને બાજુએ મુખ્યબ્રિજ સુધી કનેકટ કરતા પૂર્વ અને પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવાશે
Ahmedabad Sabaramati Bridge | સાબરમતી નદી ઉપર ગુજરાતના સૌ પ્રથમ રબર કમ બેરેજ કમ બ્રિજ રુપિયા 367 કરોડના ખર્ચથી બનાવાની કામગીરી શરુ કરાઈ છે. સાબરમતી નદી ઉપર પશ્ચિમ તરફ સાબરમતી અચેરથી પૂર્વ તરફ કેમ્પ સદર બજાર વચ્ચે એક કિલોમીટરનો 1048.08 મીટર લંબાઈનો સિકસલેન બેરેજ કમ બ્રિજ બનાવાશે.બ્રિજની બંને બાજુએ મુખ્ય બ્રિજ સુધી કનેકટ કરતા પૂર્વ અને પશ્ચિમ કાંઠે રિવરફ્રન્ટ રોડમાંથી એપ્રોચ બ્રિજ બનાવાશે.આ સિકસલેન બ્રિજનું તથા બેરેજનું સિવિલ વર્ક રાજકમલ બિલ્ડર્સ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લિ.ને આપવામાં આવ્યુ છે. બ્રિજ બન્યા પછી સાબરમતીથી કેમ્પ સદર બજાર થઈ એરપોર્ટ જઈ શકાશે.એપ્રિલ-2027 સુધીમાં પ્રોજેકટ પુરો થવાની સંભાવના છે. બ્રિજની ડિઝાઈન રાજય સરકારના આર એન્ડ બી.વિભાગમાં મંજૂરીની પ્રક્રીયામાં છે.
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઝ-ટુ અંતર્ગત નદીની બંને તરફ બેરેજ કમ બ્રિજની કનેકટિવિટી ચીમનભાઈ બ્રિજથી કલોલ તરફ જતા મુખ્ય રસ્તા ઉપર બુલેટ ટ્રેન સ્ટેશન તથા ટોરેન્ટ પાવર પાસે કનેકટ થાય છે.આ જગ્યા ટોરેન્ટ પાવરના ટી.પી.સ્કીમ નંબર-23ના ફાઈનલ પ્લોટ નંબર-872 તથા 613માંથી દસ હજાર ચોરસમીટર જગ્યા મેળવવા દરખાસ્ત કરાઈ છે. જમીન મેળવવાની બાકી છે. સ્ટેન્ડિંગ કમિટીએ દરખાસ્ત મંજૂર કર્યા પછી ચેરમેને કહયુ, ટોરેન્ટ પાવર તરફથી જગ્યા મળ્યા પછી કેવી રીતે વળતર આપવુ એ નકકી કરાશે.નદીની પૂર્વ તરફ શાહીબાગ ડફનાળાથી ઈન્દિરા બ્રિજ સુધીમાં આ પ્રોજેકટ માટે કેન્ટોન્મેન્ટ અમદાવાદની જમીન પ્રતિ ચોરસમીટર રુપિયા એક પ્રતિ વર્ષની લાયસન્સ ફીથી આપવા કેન્દ્ર સરકારે 11 નવેમ્બર-2020ના રોજ હુકમ કર્યો હતો.આ બ્રિજ બનાવવા માટે થનાર ખર્ચ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ તરફથી મળનારી ગ્રાન્ટમાંથી કરવામાં આવશે.રિવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત થનારા બેરેજમાં રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત રહેશે.શહેરમાં પાણીની અછતના સમયે કોતરપુર ઈન્ટેક વેલ મારફતે અંદાજે 10 થી 15 દિવસ ચાલે એટલો પાણીનો જથ્થો શુધ્ધિકરણ માટે મોકલી શકાશે.
સાબરમતી ટોરેન્ટ પાવરસ્ટેશન(બી.આર.ટી.એસ.)રોડથી કેમ્પ સદર બજાર(એરપોર્ટ રોડ)ના બંને તરફના રસ્તાઓને જોડતો બ્રિજ બનશે.જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં આવેલા સાબરમતી,ચાંદખેડા,મોટેરાથી લઈ પૂર્વ વિસ્તારમાં આવેલા હાંસોલ તથા એરપોર્ટને સીધી કનેકટિવીટી મળશે.ટ્રાફિક સમસ્યા મહદઅંશે હળવી બનશે.બેરેજ કમ બ્રિજ પૈકી રબર બેરેજનુ ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ ઓટોમેટીક કંટ્રોલ સિસ્ટમ આધારીત હોવાથી તેને ડીફલેકટ કરવાથી નદીના વહેતા પુરને અવરોધરુપ ના થાય તેને અનુરુપ યુનિક એરફીલ્ડ રબર બેરેજ બનાવવામા આવશે.રબર ટાઈપ બેરેજનુ કામ રુપિયા 53.78 કરોડની રકમથી YOOIL ENVIROTECH પ્રા.લી.,દક્ષિણ કોરીયાને આપવામાં આવ્યુ છે.અમદાવાદ શહેર માટે રો વોટર સંગ્રહ કરવા તથા રોડ નેટવર્ક તથા સિવિલ તથા સ્ટ્રીટલાઈટની કામગીરી રાજકમલ બિલ્ડર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી.ને અપાઈ છે.
બ્રિજની કઈ-કઈ વિશેષતા હશે?
1. બ્રિજનો મુખ્ય મધ્યસ્થ સ્પાન 126 મીટર લંબાઈનો લોખંડની કમાનનો તથા બંને બાજુના 42 મીટરના સ્પાન સસ્પેન્ડેડ આર્ચ પ્રકારના તથા બાકીના સ્પાન પ્રિ-સ્ટ્રેસ બોકસ પ્રકારના ગર્ડર પ્રકારના હશે.
2. મુખ્ય બ્રિજના ડેકના નીચેના ભાગે ત્રણ મીટર પહોળાઈની ટેન્સાઈલ રુફીંગ સાથેની ફુટપાથ બનાવાશે.આ ફુટપાથ રોડના લેવલથી નીચી રખાશે જેથી શહેરીજનો ટ્રાફિકના અવરોધ વગર રિવરફ્રન્ટનો નજારો માણી શકશે.
3. નદીમાં માટી પુરાણ કરી આર.સી.સી.ડાયાફ્રામ વોલ બનાવવા માટે કામગીરી શરુ કરાઈ છે.
બેરેજની વિશેષતા શું હશે?
1. આ બેરેજથી ઉપરવાસમાં સંત સરોવર સુધી પાણી ભરાયેલુ રહેવાથી ગાંધીનગર સુધીના રિવરફ્રન્ટ માટે પાણીનુ લેવલ જળવાઈ રહેશે.
2. સાડા ત્રણ મીટર ઉંચાઈનો એરફિલ્ડ રબર ટાઈપ સ્પેશ્યાલાઈઝડ પ્રકારનો તથા ગુજરાતમાં આ પ્રકારનો પ્રથમ બેરેજ બનશે.
3. થીમબેઝ ડેકોરેટિવ લાઈટીંગ તેમજ વોટર ટ્રાન્સપોટેશનની સગવડ માટે નદીની બંને બાજુએ 10 મીટર પહોળાઈના લોકગેટ બનાવાશે.
બેરેજમાં 144 ફુટ સુધી પાણી સંગ્રહ કરી શકાશે
અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત સાબરમતી નદી ઉપર રુપિયા 367 કરોડના ખર્ચથી ગુજરાતનો પ્રથમ બેરેજ રબર કમ બ્રિજ બનાવાઈ રહયો છે.હાલમાં બેરેજ ખાતે મહત્તમ 136.12 ફુટ સુધી પાણીનો સંગ્રહ કરી શકાય છે. આ પ્રોજેકટ એપ્રિલ-27 સુધીમાં પુરો થવાની સંભાવના વ્યકત કરાઈ છે.પ્રોજેકટ પુરો થયા પછી બેરેજમાં મહત્તમ 144.25 ફુટ સુધી પાણીનો સંગ્રહ કરી શકાશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.