અમદાવાદમાં ઐતિહાસિક કાર્યક્રમ, 25 હજાર જૈનો એકસાથે નવકાર મંત્રનો જાપ કરી બનાવશે રેકોર્ડ
Navkar Mahamantra Divas: અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 9 એપ્રિલે 'નવકાર મહામંત્ર' દિવસનું ઐતિહાસિક આયોજન કરાયું હતું. જે એક અદ્ભૂત ક્ષણ સાબિત થઈ હતી. નવકાર મહામંત્રનો મૂળ સંદેશ બધા જીવો પ્રત્યે સ્નેહ અને આદરનો છે. આ મૂલ્ય ઘણા ધર્મોના મૂળ સિદ્ધાંતો સાથે મેળ ખાય છે. એટલું જ નહીં, નવકાર મહામંત્ર અહિંસાનો મજબૂત સંદેશ આપે છે. આ મંત્રોચ્ચારથી આત્મ-શુદ્ધિ અને આધ્યાત્મિક વિકાસના માધ્યમથી વિશ્વનું કલ્યાણ પણ થશે. આ અવસરે એકસાથે 25 હજાર જૈનો નવકાર મંત્રના જાપથી એક ઐતિહાસિક રેકોર્ડ બન્યો છે.
આ પણ વાંચોઃ વિશ્વ નવકાર મંત્ર દિવસ: જાણો શું છે નવકાર મંત્રનો અર્થ અને તેનું મહત્ત્વ
6000 થી વધુ દેરાસર અને સ્થાનક પર જીવંત પ્રસારણ
GMDC ખાતેના આયોજનમાં રાજકીય નેતાઓ તેમજ જૈન સમુદાય, જેમ કે શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના જૈન મુનિ આ નવકાર મહામંત્રમાં ઉપસ્થિત રહ્યા હતાં. સવારે 8 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈઠ ગઈ હતી. જ્યાં પહોંચવા માટે 450 જેટલી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. GMDC ગ્રાઉન્ડમાં 450થી વધુ કળશ મૂકવામાં આવ્યા હતાં. કાર્યક્રમ પહેલાં શહેરમાં કળશ યાત્રા કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં સંઘો કળશને લઈને આવશે અને સામૂહિક નવકાર મંત્રનો જાપ કર્યો હતો. 25 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતાં તેમજ 100 થી વધારે અનુષ્ઠાન અને 6000 થી વધુ દેરાસર અને સ્થાનક પર તેનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.
નવકાર મંત્રનું મહત્ત્વ
નવકાર મંત્ર એ જૈન ધર્મનો એક મહત્ત્વપૂર્ણ મંત્ર છે. નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે. ચિંતા, તણાવ અને ઉદાસીથી રાહત અને માનસિક શાંતિ આપે છે, પાપોનો નાશ થાય છે, પુણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, મંત્ર જાપથી આત્મજ્ઞાન મળે છે, લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. એટલા માટે જ તો રોજિંદા જીવનમાં નવકાર મહામંત્રનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે, જે અન્ય ધર્મોમાં પણ ખૂબ આદર પામે છે.