અમદાવાદના નારાણપુરમાં પાણીની ટાંકી થઇ કડકભૂસ, સદનસીબે જાનહાનિ ટળી, રહીશો ચિંતામાં
Water tank collapsed in Naranpura : અમદાવાદના નારણપુર વિસ્તારમાં આવેલા મંગલમૂર્તિ હાઉસિંગમાં બુધવારે વહેલી સવારે 9:00 વાગે ધડકાભેર કડકભૂસ થઇ હતી. સિમેન્ટની બનેલી પાણી ટાંકી અચાનક તૂટી પડતાં સ્થાનિક રહીશો ઘરની બહાર દોડી આવ્યા છે. અચાનક પાણીની ટાંકી તૂટી પડતાં આસપાસના ફ્લેટને પણ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી. સ્થાનિક રહીશો રિ-ડેવલોપમેન્ટની પ્રક્રિયા ઝડપથી કરવા માટે માંગણી કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નારણપુરાના શાસ્ત્રીનગર રોડ પર આવેલી મંગલમૂર્તિ હાઉસિંગ સોસાયટીમાં 5 નંબરના બ્લોકમાં આવેલી પાણી ટાંકી અચાનક તૂટી પડી પડતાં લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. 5 હજાર લીટરની પાણીની ટાંકી અચાનક તૂટી પડતાં ઠેર ઠેર પાણી જ પાણી થઇ ગયું હતું. આ ટાંકીના બીમ અને કોલમના સળિયાઓને કાટ લાગી ગયો હોવાથી પાણીના વજનના લીધે ટાંકીનો સ્લેબ તૂટી પડ્યો હતો. જોકે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.
ઉલ્લેખનીય છે કે 40 વર્ષ જૂની આ સોસાયટીમાં અંદાજે 400 જેટલા ફ્લેટમાં અનેકો પરિવારો રહે છે. સોસાયટીમાં 80 ટાંકીઓ આવેલી છે, જેમાંથી અનેક ટાંકીઓના સળિયા કાટ ખાઇ ગયા છે અને જર્જરિત થઇ ગઇ છે. જેના લીધે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. સ્થાનિક રહીશો રિ-ડેવલોપમેન્ટની પ્રક્રિયા ઝડપથી કરવા માટે માંગણી કરી છે.