ગુજરાતમાં ફરી ભાવિ શિક્ષકોનું આંદોલન, વિદ્યા સહાયક ઉમેદવારોનો ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ
Gujarat Vidhyasahayak Protest: ગુજરાત સરકાર સામે અવાર-નવાર આંદોલનનું રણશિંગુ ફૂંકનાર શિક્ષકો ફરી એકવાર મેદાને આવ્યા છે. ગાંધીનગર આજે ફરી વિદ્યા સહાયકોના ઉમેદવારોની છાવણી બન્યું છે. વિદ્યા સહાયકોએ બાકી જગ્યાઓ ભરવા માટે ઉમેદવારોની સંખ્યા વધારવા માટે માંગ કરી છે. આંદોલનકારીઓનું કહેવું છે કે, અનેકવાર ધોરણ 1 થી 5 ધોરણના વિદ્યા સહાયકોની ભરતી માટે રજૂઆત કરવામાં આવી છે. જોકે, વારંવાર રજૂઆત છતાં માંગ પૂરી ન થવાના કારણે આજે ફરી આંદોલન પર ઉતર્યા છે.
શું છે વિદ્યા સહાયકોની માંગ?
આંદોલન પર ઉતરેલા ઉમેદવારોની માંગ છે કે, ધોરણ 1 થી 5 વિદ્યા સહાયકની ભરતી માટે જગ્યામાં વધારો કરવામાં આવે. ધોરણ 1 થી 5માં આશરે 18 હજાર શિક્ષકોની જગ્યા ખાલી છે અને તેની સામે માત્ર 5 હજાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 6 થી 12 માં 50 ટકાથી વધુ ભરતી કરવામાં આવી છે તો 1 થી 5 ધોરણમાં કેમ નહીં? ધોરણ 1 થી 5 એ બાળકોનું પાયાનું શિક્ષણ છે, ત્યારે વિદ્યા સહાયકોની યોગ્ય ભરતી ન કરવી તે શિક્ષકોની સાથે-સાથે બાળકો સાથે પણ અન્યાય છે.
આ પણ વાંચોઃ વીજળીના ફ્યુલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો નજીવો ઘટાડો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અસર
આંદોલન કરી રહેલાં ઉમેદવારોએ કહ્યું કે, ધોરણ 1 થી 6 માટે ખૂબ જ ઓછી જગ્યા આપવામાં આવી છે. કારણ કે, જૂના શિક્ષકની ભરતી કરવામાં આવી તો જૂના શિક્ષકોએ આ વિષયોની જગ્યા લઈ લીધી છે. જોકે, જૂના શિક્ષકની જગ્યા જે કહેવાય છે, તે હકીકતમાં ભરતી નથી માત્ર બદલી છે. પરંતુ સરકારે તેને ભરતી કહીને આ જગ્યા જૂના શિક્ષકોને આપી દીધી. તેથી, ગુજરાતી વિષયની જગ્યાઓ ઓછી આવી. આવા જૂના શિક્ષકોની તેમજ 31 ઓક્ટોબરે નિવૃત્ત થયાં તે શિક્ષકોની જગ્યાઓ ચાલુ ભરતીમાં ઉમેરવામાં આવે તેવી અમારી માંગ છે.
વારંવાર કરી રજૂઆત
આંદોલન પર ઉતરેલાં ઉમેદવારોનું કહેવું છે કે, જ્યારથી વિદ્યા સહાયકોની ભરતીની જાહેરાત કરાઈ છે, ત્યારથી ઉમેદવારો દ્વારા આ જગ્યાને ભરવા માટે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ, સરકાર અમારી વાતને સાંભળતી જ નથી. હાલ, અમે વિદ્યા સહાયકોની જગ્યા વધારવા માટે આંદોલન કરી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ અમદાવાદથી ભોપાલ જતી ખાનગી ટ્રાવેલ્સને નડ્યો અકસ્માત, 11 ઈજાગ્રસ્ત, ડ્રાઇવરની હાલત ગંભીર
નોંધનીય છે કે, આ પહેલાં માધ્યમિક વિભાગના ઉમેદવારોએ પણ જગ્યા વધારવા માટે રજૂઆત કરી હતી. માધ્યમિક વિભાગમાં ઉચ્ચતર માધ્યમિકમાં 464 અને માધ્યમિકમાં 319 ગુજરાતી વિષયની જગ્યાઓ આપવામાં આવી છે.