વડોદરાના ચિત્રકાર ભુપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું

ઓક્શન હાઉસે ચાંપાનેરના ઐતિહાસિક સ્થાપત્યો પર આધારિત પેઈન્ટિંગની 6થી 8 કરોડની બેઝ પ્રાઈસ રાખી હતી

Updated: Mar 18th, 2024


Google NewsGoogle News
વડોદરાના ચિત્રકાર ભુપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું 1 - image


Bhupen Khakhra: વડોદરાના જાણીતા પદ્મ શ્રી એવોર્ડ વિજેતા પેઈન્ટર ભુપેન ખખ્ખરનુ એક પેઈન્ટિંગ બે દિવસ પહેલા મુંબઈમાં યોજાયેલા એક ઓક્શનમાં 14.4 કરોડ રૂપિયામાં વેચાયુ હોવાનુ જાણવા મળ્યુ છે. મળતી વિગતો પ્રમાણે ભુપેન ખખ્ખરે જે તે સમયે આ પેઈન્ટિંગ વડોદરાના એક આર્કિટેક્ટને જન્મ દિવસની ભેટ તરીકે આપ્યુ હતુ. આ પેઈન્ટિંગ 1996થી આર્કિટેક્ટની પાસે હતુ અને તાજેતરમાં જ તેમના પુત્રે ઓક્શન હાઉસને પેઈન્ટિંગ હરાજી માટે આપ્યુ હતુ.

14.4 કરોડ રૂપિયામાં વેચાયુ આ પેઈન્ટિંગ

કેનવાસ પરના ઓઈલ પેઈન્ટિંગમાં ભુપેન ખખ્ખરે ચાંપાનેરની ઐતહાસિક વિરાસતને દર્શાવી છે.ચાંપાનેરને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે અને એવુ મનાય છે કે, આ સમયગાળમાં જ ભુપેન ખખ્ખરે પેઈન્ટિંગ બનાવ્યુ હતુ. ઓક્શન હાઉસ દ્વારા આ કલાકૃતિની બેઝ પ્રાઈઝ 6 થી આઠ કરોડ રાખવામાં આવી હતી. આખરે તે 14.4 કરોડ રૂપિયામાં વેચાયુ હતુ. ભુપેન ખખ્ખરે પેઈન્ટિંગ માટે ક્યારેય કોઈની પાસે તાલીમ લીધી   નહોતી. 1962માં તેઓ મુંબઈથી વડોદરા આવી ગયા હતા અને એ પછી તેઓ વડોદરામાં જ આજીવન રહ્યા હતા. એમ.એસ.યુનિવર્સિટીની ફાઈન આર્ટસ ફેકલ્ટીની તેઓ વારંવાર મુલાકાત લેતા હતા.

ભુપેન ખખ્ખરને 1984માં એનાયત થયો હતો પદ્મશ્રી

તેમણે મોટાભાગના પેઈન્ટિંગ્સમાં આમ આદમીના સંઘર્ષને દર્શાવ્યો હતો. 1984માં ભુપેન ખખ્ખરને પદ્મશ્રી એનાયત કરાયો હતો અને 2000માં તેમને નેધરલેન્ડનો પ્રતિષ્ઠિત પ્રિન્સ ક્લાઉસ એવોર્ડ પણ મળ્યો હતો. 2003માં વડોદરામાં 69 વર્ષની વયે તેમનુ નિધન થયુ હતુ. આ પહેલા ઈન્ટરનેશનલ ઓક્શન હાઉસના એક ઓક્શનમાં તેમનુ બનિયન ટ્રી...નામનુ પેઈન્ટિંગ 18.81 કરોડ રૂપિયામાં વેચાયુ હતુ.

વડોદરાના ચિત્રકાર ભુપેન ખખ્ખરનું પેઈન્ટિંગ રૂ. 14.4 કરોડમાં વેચાયું 2 - image


Google NewsGoogle News